દેવ દિવાળીએ ડાકોરના ઠાકોરના દરવાજા ભાવિકો માટે બંધ રહેશે :આખો દિવસ મંદિરમાં ભક્તોને પ્રવેશ નહીં
વધતા કોરોના સંક્રમણને પગલે ટેમ્પલ કમિટીનો નિર્ણય
ખેડાઃ દિવાળીના તહેવારો બાદ સમગ્ર ખેડા જિલ્લા સહિત ડાકોરમાં પણ કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇ ડાકોર ટેમ્પલ કમિટિ દ્વારા ગઈકાલે બેઠક યોજવામાં આવી હતી. જેમાં તારીખ 30 નવેમ્બરના દિવસે દેવ દિવાળીએ મોટી પૂનમ હોવાથી પૂનમના દિવસે આખો દિવસ ભક્તોનો મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે ગુરુવારે તુલસી વિવાહના દિવસે સાંજે પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય ટેમ્પલ કમીટિ દ્વારા કરવામાં આવ્યો હતો
ડાકોર ખાતે પૂનમના દિવસે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. જેને લઈ ડાકોરના ઠાકોરના દર્શને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે.પરંતુ કોરોના મહામારીને પગલે પૂનમના દર્શન છ માસથી બંધ રાખવામાં આવ્યા હતા. જે શરદપૂર્ણિમાથી પૂનમના દર્શન ખુલ્લા કરવામાં આવ્યા હતા પરંતુ , મહામારીના વધતા સંક્રમણને પગલે પૂનમના દર્શન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.