વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં નોકરને ચપ્પુની અણીએ રાખી માલિકે ગડદાપાટુનો માર મારતા ચકચાર
વડોદરા: તું મારે ત્યાં નોકરી નહીં કરે તો તને અન્ય કોઇ જગ્યાએ પણ કરવા નહીં દઉં તેમ કહી નોકરને ચપ્પુની અણીએ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી પૂર્વ માલિક ફરાર થઈ જવાનો બનાવ પાણીગેટ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે.
મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં વાઘોડિયા રોડ ઉપર આવેલ રાધિકા ભવન ખાતે રહેતા 52 વર્ષીય સુરેન્દ્રભાઈ તિવારી રાધિકા ભવનમાં બેન્કેટ સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ગઇકાલે તેઓ રાધિકા ભવનનું કરિયાણું ખરીદવા ઉમા ચાર રસ્તા ખાતે ગયા હતા. જયાંથી પરત ફરતી વેળા પ્રજ્ઞેશ ઉર્ફે પકો જોશી ( રહે -માતૃ પિતૃ છાયા, જગન્નાથ ફ્લેટની બાજુમાં, વડોદરા )એ રોક્યો હતો. અગાઉ સુરેન્દ્રભાઈ પ્રજ્ઞેશને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. પ્રજ્ઞેશએ જણાવ્યું હતું કે, તું મારે ત્યાં નોકરી નહીં કરે તો તને અન્ય કોઇ જગ્યાએ પણ નોકરી નહીં કરવા દઉ. તેમ કહી ફિલ્મી ઢબે સુરેન્દ્રભાઈની એક્ટિવાને ઓવરટેક કરી ફરી રોક્યા હતા. અને પેન્ટના ખિસ્સામાંથી ચપ્પુની અણીએ એક અઠવાડિયામાં વડોદરા છોડી દેજે નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગડદાપાટુનો માર માર્યો હતો. તેવી ફરિયાદના આધારે પોલીસે પ્રજ્ઞેશ વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.