ગુજરાત
News of Monday, 25th October 2021

સુરતમાં ખાદ્યતેલ અને ઘીના ભાવમાં વધારો થતા પાણીથી પ્રજ્‍વલ્લિત થતા ખાસ પ્રકારના દિવડાની ડિમાન્‍ડ વધીઃ સર્કલ બેટરીના કારણે 100 કલાકથી વધુ દિવો પ્રજ્‍વલ્લિત રહે

હવાથી ઓલવાઇ જવાની કે બાળકોને દાઝી જવાનો ભય નથી

સુરત: મોંઘવારીના કારણે ખાદ્ય તેલ અને ઘીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધારાની અસર આ વખતે દિવાળી પર પણ પડશે અને લોકોની દિવાળી ફિક્કી રહેવાના અણસાર છે. જો કે દિવાળીમાં દિવાઓની ચમક ઓછી ન થાય તે માટે સુરત શહેરમાં એક ખાસ પ્રકારના દીવાઓની ડિમાન્ડ વધી છે. આ દીવાઓ પાણીથી પ્રજ્વલિત થાય છે, જેને એક ટીંપુ પણ તેલની જરૂરિયાત હોતી નથી.

સતત વધી રહેલી મોંઘવારીના કારણે ખાદ્ય તેલ અને ઘીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખતે દિવાળી પર લોકો પાણીથી દીવા પ્રજ્વલિત કરશે. સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ મોંઘવારીની અસર આ વખતે દિવાળી પર જોવા મળશે. સુરત શહેરમાં એક ખાસ દીવાની ડિમાન્ડ વધી છે, જે પાણીથી પ્રજ્વલિત થાય છે, જેમાં એક ટીંપુ પણ તેલની જરૂરિયાત હોતી નથી.

દિવાળી પર 5 થી વધુ દિવસ લોકો ઘરમાં દીવડા પ્રજ્વલિત કરતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી સતત વધી રહેલા તેલ અને ઘીના ભાવના કારણે જો તમે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય તો આ દિવાળી પર પાણીના દીવા પ્રજ્વલિત કરવા માટે તૈયાર થઈ જાઓ. આ વખતે દિવાળી પર પાણીથી પ્રજ્વલિત થનારા દીવડાની ડિમાન્ડ વધી છે. પાણીથી ક્યારેય પણ દીવા પ્રજ્વલિત થતા નહોતા, પરંતુ અત્યારે મોંઘવારીના કારણે આ ખાસ દીવા તૈયાર કરવામાં આવ્યા છે.

કેવી રીતે કામ કરે છે પાણીના દીવા

આ દીવામાં 2 સર્કલ બેટરી હોય છે અને તેનું સેન્સર એટલું એક્ટિવ હોય છે કે પાણીનું એક ટીંપુ પડવાથી પણ આ દીવા પ્રજ્વલિત થઇ જાય છે. દીવા સેન્સરથી ચાલે છે અને તેની અંદર LED નાની લાઈટ છે. આ દીવામાં પાણી પડતાની સાથે જ LED લાઇટ આપોઆપ પ્રજ્વલિત થાય છે. આ સેન્સરથી ચાલનારા દીવા 100 કલાકથી પણ વધુ બેટરીથી સતત પ્રજ્વલિત રહી શકે છે.

આ વિશે દીવા બનાવનાર પૂજા જૈને જણાવ્યું કે, હાલ સતત વધી રહેલા ખાદ્યતેલ અને ઘીના ભાવને કારણે પાણીથી પ્રજ્વલિત થનારા દીવાની માંગ લોકો કરી રહ્યા છે. આ સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે અને પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. લોકો 5 દિવસ સુધી ઘી અને તેના દીવા પ્રજ્વલિત કરતા હોય છે, જે મોંઘવારીમાં ખૂબ જ મુશ્કેલ થાય તેવી પરિસ્થિતિ છે, ત્યારે આ ખૂબ જ સુરક્ષિત પણ છે અને સસ્તા પણ છે. હવાથી ઓલવાઈ પણ જતા નથી અને બાળકોને દાઝવાની પણ બીક રહેતી નથી.

(4:23 pm IST)