પાટીલે પહેલા પોતાનો ભુતકાળ તપાસી લેવો જોઈએ : અર્જૂનભાઇ મોઢવાડિયા
કોંગ્રેસ નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાનો પલટવાર : પાટીલ ૧૯૭૫માં પોલીસ કોન્સ્ટેબલ બન્યાના ત્રણ વર્ષમાં દારુની હેરાફેરીમાં પલસાણા-સોનગઢ પોલીસમાં કેસ છે
અમદાવાદ,તા.૨૫ :ગુજરાતમા આઠ વિધાનસભાના પેટા ચૂંટણીનો પ્રચાર જોર શોરમાં ચાલી રહ્યો છે. ત્યારે ભાજપ-કૉંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારો ચાલી રહ્યા છે. ભાજપ પ્રમુખ સીઆર પાટિલના નિવેદન પર કોંગ્રેસ નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાનો પલટવાર કરતા પત્રકાર પરિષદ કરી હતી. કૉંગ્રેસના નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાએ પત્રકાર પરિષદ કરી, સીઆર પાટિલ પર પ્રહાર કરતા કહ્યું હતુ કે, સીઆર પાટિલ ઉર્ફે ભાઉએ પડકાર ફેંકતા પહેલા પોતાનો ભુતકાળ તપાસી લેવો જોઇએ. પાટિલ ભાઉ પર ૧૦૭ ગુન્હાહીત કેસ સરકારી રેકોર્ડ પર નોંધાયા છે. મારે સાબિત કરવાની જરૂર નથી. પરંતુ સીઆર પાટિલે ૨૦૧૪ અને ૨૦૧૯મા લોકસભા ચૂંટણી વખતે કરેલ સોગંધનામા ફોટા સાથે તેમને સ્વીકાર કર્યો છે, તેના આધારે હું બોલું છુ. મેં કશું નવીન વાત કરી નથી, કારણ કે, પાટિલ ભાઉ કરેલ ચૂંટણી પંચ સમક્ષ એફિડેવિટ લખ્યું છે. તેના પર ૧૦૭ અલગ અલગ કેસ નોધાયા છે.
પાટિલ ૧૯૭૫માં પોલીસ કોન્સ્ટેબલ બન્યાના ત્રણ વર્ષમાં ૧૯૭૮મા, તેમના પર દારુની હેરાફેરીમાં પલસાણા પોલીસ અને સોનગઢ પોલીસ સ્ટેશનમાં કેસ નોધાયો છે. જેના પગલે પોલીસ વિભાગે તેઓને સસ્પેન્ડ કર્યા છે. ૧૯૮૪મા પોલીસ યુનિયન બનાવતા ડિપાર્મેન્ટે તેઓને બરખાસ્ત કર્યા હતા. સુરત કોર્પોરેશન દ્વારા ઓક્ટ્રોય પણ પાટિલ પર થયો. ૨૦૦૨મા ડાયમંડ કૌભાંડ જે ૮૧ કરોડનું થયું તે મુદ્દે પણ કેસ થયો, મહિનાઓ સુધી જેલમાં રહ્યા તેના પુરાવા સરકારી રેકોર્ડ પર આજે પણ છે. વધુમાં મોઢવાડિયાએ કહ્યું હતુ કે, રાજીનામાની વાતો કરનારા પાટિલ ભાઉ ખોટા પડકાર ન કરે ભાજપની સંસ્કૃતિ રાજીનામા આપવાની નથી . ભાજપના વર્તમાન પ્રમુખ ૩૨ લક્ષણા છે. ભાજપ નેતાઓ ભાઉને આવા નિવેદન આપતા પહેલા રોકવા જોઇએ. સીએમ પણ કૉંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય પર દારુ મુદ્દે જે નિવેદન આપ્યું છે તે ન આપવું જોઇએ. પહેલા સીએમ ભાઉના રેકોર્ડ જોવે અને પુરવા સરકાર પાસે જ છે. તે તપાસ કરવી જોઇએ. ભાજપે કાળા નાણાથી ધારાસભ્યને ખરીદવા માટે ખરીદ વેચાણ સંઘ બનાવ્યું છે. પરંતુ ૨૦૧૭ ચૂંટણી કોંગ્રેસ છોડીને ૧૪ ધારાસભ્ય ગયા હતા તેમાથી ૨ જીત્યા હતા. ૨૦૧૯મા બે ધારાસભ્ય પાર્ટી છોડી હતી. આજે ઘરે બેઠા છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસ આઠે આઠ બેઠક જીતશે.