ગુજરાત
News of Sunday, 25th October 2020

ઉના : દલિતો પરના અત્યાચાર કેસમાં કોર્ટ દ્વારા એકને જામીન

કેસના ચાર વર્ષ બાદ હાઈકોર્ટનો ચુકાદો : નાગજી વાણિયા ૨૦૧૬થી જેલમાં હોઈ તેમને જામીન

અમદાવાદ, તા. ૨૪ : ઘટનાના ચાર વર્ષથી વધુ સમય પછી ગુજરાત હાઇકોર્ટે દેશવ્યાપી પ્રતિક્રિયા ધરાવતા ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના કેસમાં મુખ્ય આરોપીમાંથી એકને જામીન આપી દીધા છે. ૧૦,૦૦૦ રૂપિયાના બોન્ડ પર નાગજીભાઇ વાણીયાને જામીન આપતાં ન્યાયાધીશ પરેશ ઉપાધ્યાયે અવલોકન કર્યું હતું કે, અપીલકર્તા દ્વારા જેલમાં ભોગવેલી સજાને ધ્યાનમાં રાખીને અપીલ કરનારને જામીન આપવાની જરૂર છે. વાણીયા જુલાઈ ૨૦૧૬થી જેલમાં હતો. ૧૧મી જુલાઈ ૨૦૧૬ના રોજ, ઉનામાં નોંધાયેલી એફઆઈઆરમાં પહેલા આરોપીઓમાં વાણીયાનું નામ હતું. ઘટનાની વિગતો એવી છે કે, ગૌહત્યાની શંકાના આધારે દલિત સમાજના સાત સભ્યોને બજારમાં બાંધીને ઢોર માર મારવામાં આવ્યા હતા.

ઘટનાનો વિડીયો વાયરલ થતાની સાથે પોલીસે ૧૬ લોકોની ધરપકડ કરી હતી જેમાં આરોપી તરીકે વાણીયો પણ શામેલ હતો. વાણીયાએ ટ્રાયલ કોર્ટ દ્વારા તેમની અરજી નામંજૂર કર્યા પછી ૨૦૧૭માં પ્રથમ વખત હાઈકોર્ટમાંથી જામીન માંગ્યા હતા. તેણે ૨૦૧૮માં બીજી અરજી દાખલ કરી હતી પરંતુ તે બે વર્ષથી હાઇકોર્ટમાં પેન્ડિંગ હતી. અઠવાડિયાની શરૂઆતમાં સુનાવણી દરમિયાન, વાણીયાના એડવોકેટે ફરિયાદ કરી હતી કે ટ્રાયલ કોર્ટ કેસમાં દૈનિક ધોરણે સુનાવણી ચલાવી રહી નથી, તેમ છતાં તેને આમ કરવા કહેવામાં આવ્યું છે. પીડિતોમાંથી એક વશરામભાઇ સરવૈયાએ વાણીયાની જામીન અરજી પર વાંધો ઉઠાવ્યો હતો. રાજ્ય સરકારે પણ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. કોર્ટે દલીલો સાંભળ્યા પછી, તારણ કાઢ્યું હતું કે વાણીયાને હવે ન્યાયિક કસ્ટડીમાં રાખવાની જરૂર નથી, કારણ કે તમામ ૨૮ સહ આરોપીને હાઈકોર્ટ દ્વારા છૂટા કરવામાં આવ્યા છે. કોર્ટે વિચાર્યું કે વાણીયા આજદિન સુધી ચાર વર્ષથી વધુ જેલમાં વિતાવી ચૂક્યો છે.

(9:10 pm IST)