ગુજરાત
News of Tuesday, 25th September 2018

NACIN પરીક્ષા જીએસટી પ્રેક્ટિશનરને પાસ કરવી પડશે

નવી જોગવાઇને લઇ પ્રેકટીશર્સમાં નારાજગીઃ ચાલુ નાણાકીય વર્ષથી પરીક્ષા જે વિદ્યાર્થીઓએ પાસ કરી હશે તે પ્રેક્ટિશનર જીએસટી માટેની પ્રેક્ટિસ કરી શકશે

અમદાવાદ,તા. ૨૫: જીએસટીના પ્રેક્ટિશનર તરીકે કામ કરવા માટે હવે પ્રેક્ટિશનરે એનએસીઆઇએન (નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ, ઇન ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ) પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત કરાયું છે. ચાલુ નાણાકીય વર્ષથી આ પરીક્ષા જેમણે પાસ કરી હશે તે પ્રેક્ટિશનર જ જીએસટીની પ્રેક્ટિસ કરી શકશે. સરકાર દ્વારા લાગુ કરાયેલી આ નવી અને વિવાદીત જોગવાઇને લઇ જીએસટી પ્રેકટીશર્સમાં થોડી નારાજગી પણ ફેલાઇ છે. ૩૧ ઓક્ટોબરે એનએસીઆઇએનની પરીક્ષા યોજાશે, તેના માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યાં છે. આ પરીક્ષામાં પ્રેક્ટિશનરે ૫૦ ટકા માર્ક્સ ફરજિયાત મેળવવાના રહેશે. પરીક્ષા માટેની રજિસ્ટ્રેશન ફી રૂ. ૨૫૦૦ ઓનલાઈન ભરવાની રહેશે. બે કલાકની પરીક્ષા હશે, જેનો સમય ૧થી ૧.૩૦નો રહેશે. પરીક્ષામાં કુલ ૨૦૦ એમસીક્યુ હશે, જેનાથી ક્વોલિફાય થવા માટે ઉમદવારે ૫૦ ટકા માર્ક્સ એટલે કે ૧૦૦ માર્ક્સ લાવવાના રહેશે. પરીક્ષામાં સીજીએસટી, આઇજીએસટી, એનજીએસટી, યુજીએસટીને લગતા પરિપત્રો અને નોટિફિકેશન આધારિત પ્રશ્નો પુછાશે. આ પરીક્ષા પાસ કર્યા પછી ૫ વર્ષ સુધી પ્રેક્ટિશનર તરીકે કામ કરી શકાશે. ટેક્સ પ્રેક્ટિશનર એક્સાઈઝના નિવૃત્ત અધિકારી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ચાર્ટર્ડ સેક્રેટરી તમામે આ પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે. પ્રેક્ટિશનરે ત્યાર પછી પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર તેની સાથે રાખવું પડશે અને જરૂરી દસ્તાવેજોમાં તેની નકલ અથવા નંબર લખવો પડશે. જો કે, સરકારની આ નવી વિવાદીત જોગવાઇને લઇ જીએસટી પ્રેકટીશનર્સમાં થોડી નારાજગી ફેલાઇ છે કારણ કે, આટલા વર્ષોથી પ્રેકટીસ કરતાં સીએ, સીએસ અને ટેક્સ પ્રેકટીશર્સને  પરીક્ષા આપવાનો વારો આવે એટલે નૈતિક રીતે પણ તેઓને વાજબી લાગતું નથી. કેટલાક સિનિયર્સ પ્રેકટીશર્સમાં તો આ નવી પરીક્ષાને લઇ આંતરિક રોષ જોવા મળી રહ્યો છે.

(10:41 pm IST)