ગુજરાત
News of Sunday, 25th July 2021

સ્વીટી પટેલ કેસમાં કોંગ્રેસી નેતાના ચોંકાવનારા ખુલાસા

સ્વીટી પટેલની હત્યા થઇ તેની માહિતી નહોતી : દેસાઇએ એવું જણાવ્યું હતું કે, મારી બહેન લગ્ન વગર જ ગર્ભવતી થઇ ગઇ છે માટે તેને મારી નાખવા માંગુ છું

વડોદરા, તા.૨૫ : અજય દેસાઇએ પોતાની પત્ની સ્વીટી પટેલની હત્યા કરી નાખી હોવાની કબુલાત કરી છે. જો કે અજય દેસાઇ લાંબા સમયથી સ્વીટીની હત્યા કરી નાખવાનું આયોજન કરી રહ્યો હતો. સ્વીટી પટેલને મારી નાખવા માટે સ્થળની રેકી કરવાથી માંડીને સમગ્ર આયોજન કર્યું હોવાનું ક્રાઇમબ્રાંચની તપાસમાં સામે આવ્યું છે. જો કે હત્યામાં જેના પર મદદગારીનો આરોપ છે તે નેતા દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. PI અજય દેસાઇએ નેતાને પણ ગોળગોળ ફેરવ્યો હતો. પોતે સ્વીટીની હત્યા કરવાનો છે તેવી માહિતી તેણે નેતાને પણ આપી નહોતી. ૨૦૧૫માં સ્વીટીને મળ્યા બાદ PI દેસાઇ સંપર્કમાં હતા. ૨૦૧૬માં PI દેસાઇ અને સ્વીટી રૂપાલના એક મંદિરમાં એક બીજાને હાર પહેરાવીને સાથે રહેવા લાગ્યા હતા. જો કે દરમિયાન ૨૦૧૭ માં પીઆઇએ અન્ય એક યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જો કે સ્વીટી ગર્ભવતી થઇ હતી તેણે મહિના સુધી અંગે PI ને જણાવ્યું નહોતું. બંન્ને વચ્ચે ત્યાર બાદ ઝગડાઓની શરૂઆત થઇ હતી. બંન્ને પત્નીઓ વડોદરામાં રહેતી હોવાથી અને બંન્નેને એક બીજા વિશે ખબર પડી જતા અજય દેસાઇને બંન્ને પત્નીઓ તરફથી પરેશાની હતી. જેના કારણે આખરે અજય દેસાઇએ સ્વીટીનો કાંટો કાઢી નાખવાનું ષડયંત્ર ઘડ્યું હતું.

થોડા દિવસ પહેલા અચાનક PI નાર્કોટેસ્ટનો ઇક્નાર કરતા ક્રાઇમબ્રાંચે કોંગ્રેસી નેતા કિરીટસિંહ જાડેજાની પુછપરછ આદરી હતી. કિરીટસિંહ જાડેજા કેસમાં મહત્વની કડી હોવાનું ક્રાઇમબ્રાંચને પહેલાથીજ લાગી રહ્યું હતું. જો કે નેતાએ ઘટસ્ફોટ કરતા કહ્યું કે, સ્વીટી પટેલની હત્યા થઇ તેની માહિતી પોતાને પણ નહોતી. અજય દેસાઇએ તો તેને એવું જણાવ્યું હતું કે, મારી બહેન લગ્ન વગર ગર્ભવતી થઇ ગઇ છે. માટે તેને મારી નાખવા માંગુ છું. જેથી કિરીટસિંહે પોતાની હોટલ નજીક પડેલી અવાવરૂ જગ્યા પાસે લાશ સગેવગે થઇ શકે તેમ હોવાનું કહ્યું હતું. ઉપરાંત પુરાવાઓ નાશ થઇ શકે તેમ હોવાનું પણ જણાવ્યું હતું. જો કે પીઆઇએ સ્વીટીની હત્યા કરી નાખી હતી અને તેનુ ગોદડામાં લપેટીને લાવ્યો હતો અને ગોદડામાં લપેટેલી સ્થિતિમાં તેની લાશ સળગાવી દીધી હતી.

(9:24 pm IST)