ગુજરાત
News of Sunday, 25th July 2021

અડધા ગુજરાતે મફત અનાજ ખાધુ હોવાનું જુઠાણું ચલાવી ભાજપ સરકારે ગુજરાતની જનતાની ખુદ્દારીનું અપમાન કર્યુ

મફત રાશન મામલે કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડીયાના સરકાર પર આકરા પ્રહાર :3 લાખ NFSA કાર્ડ ધારકોના ભાગના અંદાજે રૂપિયા 50 કરોડથી વધુનાં ઘઉં અને ચોખાનો બારોબાર વહિવટ કર્યાનો આક્ષેપ

 

અમદાવાદ : કોરોના મહામારીના વિકટ સમયમાં પણ NFSA કાર્ડ હોવા છતાં રાજ્યનાં 3 લાખ પરિવારોએ છેલ્લા 3 મહિનાથી, જ્યારે 2.75 લાખ કાર્ડ ધારક પરિવારોએ છેલ્લા 6 મહિનાથી મફતમાં રાશન લઈને પોતાની ખુદ્દારી પ્રગટ કરી છે. તેમ છતાં રાજ્યની ભાજપ સરકારે મે/જુન-2021 દરમિયાન 71 લાખ પરિવારોના 3.41 કરોડ લોકોએ એટલે કે અડધા ગુજરાતે મફત અનાજ ખાધુ હોવાનું જુઠાણું ચલાવી ગુજરાતની જનતાની ખુદ્દારીનું અપમાન કર્યુ હતું. તેમ કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે

તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારે મે, જુન-2021 દરમિયાન રાજ્યના કુલ 71 લાખ NFSA કાર્ડ ધારકોને 2.39 લાખ મેટ્રિક ટન ઘઉં અને 1.03 લાખ મેટ્રિક ટન ચોખાનું વિના મૂલ્યે વિતરણનો દાવો કર્યો છે (જેની બજાર કિમત રૂપિયા 1167 કરોડ થાય છે). જો કુલ 71 લાખ NFSA કાર્ડ ધારકો પૈકી 3 લાખ (4.22%) NFSA કાર્ડ ધારકોએ મફત રાશન લીધુ નથી, તો પછી એમના ભાગના અંદાજે રૂપિયા 50 કરોડથી વધુનાં ઘઉં અને ચોખાનો બારોબાર ક્યાં વહિવટ કરવામાં આવ્યો?

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ભાજપ સરકારે પહેલા તો ગુજરાતીઓની ખુદ્દારીનું અપમાન કરવા બદલ જનતાની માફી માંગવી જોઈએ. તેમજ પરિવારના હકનું અનાજ ક્યાં સગેવગે થયુ તેની તપાસ થવી જોઈએ

 

(12:11 am IST)