ગુજરાત એટીએસ દ્વારા તિસ્તા સેતલવડની અટકાયત, સાન્તાક્રુઝ પોલીસ સ્ટેશને લઈ જવાયા: ગુજરાતમાં પણ બે ભૂતપૂર્વ પોલીસ ઓફિસરો સામે ફરિયાદ દાખલ થઇ
૨૦૦૨માં ગુજરાતમાં થયેલા રમખાણોના મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ખાસ તપાસ દળે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આપેલી ક્લીનચીટને જાકીયા ઝાફરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જાકીયા ઝાફરીની અરજી ફગાવી દેતા કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપતા ગુજરાત એટીએસએ મુંબઈ પહોંચી તિસ્તા સેતલવાડની અટકાયત કરી સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી હોવાનું ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલ છે. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ એક ફરિયાદ નોંધી જે મામલે ગુજરાતના પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને ક્રાઈમ બ્રાન્ચ બોલાવ્યા હતા અને પ્રાથમિક પુછપરછ પછી તેમની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડને દર્શાવાયા હોવાનું ઓનલાઇન પોર્ટલ નવજીવન માં પ્રશાંત દયાળના અહેવાલમાં પ્રસિદ્ધ થયું છે.