ગુજરાત
News of Saturday, 25th June 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે રાજ્યમાં ૬૬ કે.વી. ના વધુ ૪ સબ સ્ટેશનના ઝઘડિયાથી એક સાથે લોકાર્પણ કરશે : રાજ્યમાં પાછલા ૨૦ દિવસમાં ૨૨ વીજ સબસ્ટેશનના લોકાર્પણ થયા

રૂા. ૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત આ સબસ્ટેશનથી અમદાવાદ-ભરૂચ-સાબરકાંઠાજિલ્લાના ૪૫ ગામોના ૨૪ હજાર વીજ ગ્રાહકોને ગુણવત્તા યુક્ત વીજળી મળશે

રાજકોટ તા.૨૫ :મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રવિવારે તા. ૨૬મી જૂને રાજ્યના અમદાવાદ, ભરૂચ અને સાબરકાંઠા જિલ્લામાં બનેલા ૬૬ કે.વી. ક્ષમતાના ૪ વીજ સબસ્ટેશનના એક સાથે લોકાર્પણ ભરૂચ જિલ્લાના ઝઘડીયાથી કરશે.

આ સબસ્ટેશન કુલ રૂા. ૩૨ કરોડના ખર્ચે નિર્માણ પામ્યા છે અને અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, ભરૂચના ઝઘડીયા તથા સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ૪૫ ગામોના કુલ ૨૪ હજાર વીજ ગ્રાહકોને ગુણવત્તા યુક્ત વીજળી પૂરી પાડશે.

    મુખ્યમંત્રીશ્રી રવિવાર, તા. ૨૬મી જૂન-૨૦૨૨ના સવારે ૯.૩૦ વાગ્યે ભરૂચના ઝઘડીયાથી ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી તથા સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ સબસ્ટેશનના લોકાર્પણ સંપન્ન કરશે.

આ ઉપરાંત ભરૂચના વાલિયામાં ૭.૬૨ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારા ૬૬ કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન પણ શ્રી ભૂપેન્દ્ર પટેલ કરશે.

    રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ગામોમાં પણ ગુણવત્તા યુક્ત વીજ પૂરવઠો આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા સાથે પાછલા ૨૦ દિવસમાં રાજ્યમાં નવા ૨૨ વીજ સબસ્ટેશનના લોકાર્પણ કરવામાં આવ્યા છે.

     અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, અમદાવાદ જિલ્લામાં હાલ ૮૫, ભરૂચમાં ૬૨ અને સાબરકાંઠામાં ૫૯ વીજ સબસ્ટેશન કાર્યરત છે. આવનારા બે વર્ષોમાં આ ત્રણેય જિલ્લામાં કુલ મળીને ૩૯ નવા સબસ્ટેશન નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

 

(5:48 pm IST)