ગુજરાત
News of Saturday, 25th June 2022

કંટાળેલા ભાવિ તબીબો શ્રી સોમનાથદાદાના શરણે

સિનિયર રેસીડેન્‍ટ પ્‍લસ બોન્‍ડ પધ્‍ધતિના પરિપત્ર મુદ્દે રજૂઆત

રાજકોટઃતા.૨૫ અમદાવાદની બી.જે.મેડીકલ કોલેજનાં તમામ પી.જી.વિદ્યાર્થીઓ એટલે કે ભાવિ તબીબોએ શ્રી સોમનાથ મહાદેવને પત્ર પાઠવીને સિનિયર રેસીડેન્‍ટ યસ બોન્‍ડ પધ્‍ધતિનાં પરિપત્ર મુદ્દે સત્તાધીશો તાત્‍કાલીક યોગ્‍ય કરે તે માટે માંગણી કરી છે.

બી.જે.મેડીકલ કોલેજના છાત્રોએ શ્રી સોમનાથ મહાદેવ તથા ભારતના અન્‍ય પ્રખ્‍યાત શિવમંદિરોમા પત્ર પાઠવીને જણાવ્‍યુ છે કે હે ભોલેનાથ હે સોમનાથ દાદા તમે તો જગતના કણ કણમાં વસેલા છો, તમારાથી શું છુપાયેલું છે. પરંતુ હે દિનદયાલ દાતા આજે અમો બી.જે.મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ તમારા શરણે આવ્‍યા છીએ.

હે સર્જનહાર અમોને અહીંયા પૃથ્‍વી ઉપર આવેલ અકે ભારત દેશના ગુજરાત રાજયના સત્તાધીશો તેમજ આરોગ્‍ય વિભાગનાં ઉપરી અધિકારીઓએ અમોને સતત આશ્વાસન આપી રહ્યા છે સિનિયર રેસીડેન્‍ટ બોન્‍ડ પધ્‍ધતિ કોવીડમાં કામ કરેલ ૨૦૧૯ અને ૨૦૨૦ બેચને આપવા માટે સૌ પોઝીટીવ છે.

પરંતુ અમારી તપસ્‍યાનો ૧૧મો દિવસ છે પણ હજુ સુધી આ પરિપત્ર અમને મળેલ નથી તો અમે મૂંઝવણમાં છીએ કે તમામ લોકો આ બાબતે પોઝીટીવ છે તો આ બાબત માટે નેગેટિવ છે કોણ મને એ નથી સમજાતું કે હજુ સુધી શા માટે અમોને પરિપત્ર અથવા પરિપત્ર માટેની લેખિત બાંયધરી પણ મળેલ નથી. હે પરમપિતા તમે તો  સર્વજ્ઞાતા છો અને તમે જાણો છો કે આ પધ્‍ધતિથી પ્રજાનું કલ્‍યાણ જ થશે. તો હે પરમકૃપાળુ ભોલેનાથ આ પરિપત્ર અમારા સુધી પહોંચાડવાનું બી.જે.મેડીકલ કોલેજના તમામ પી.જી.વિદ્યાર્થીઓએ માંગણી કરી છે.

(3:46 pm IST)