ગુજરાત
News of Saturday, 25th June 2022

વડાપ્રધાન મોદીના વિરોધીઓની ચાલ ખુલ્લી પડી ગઈઃ કોંગ્રેસે સતત હેરાન કરવાના પ્રયાસ કર્યા હતા

તત્‍કાલિન મુખ્‍યમંત્રી મોદીને ગુજરાત રમખાણ કેસમાં ક્‍લીનચીટનો મામલે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને સીઆર. પાટીલે પ્રતિક્રિયા આપી

નવી દિલ્‍હી, તા.૨૫: સુપ્રીમ કોર્ટે ૨૦૦૨માં થયેલા ગુજરાત રમખાણ કેસોમાં તત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઈ  મોદીને ક્‍લીન ચીટ આપવા વાળી SITના રિપોર્ટની વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની થયેલી સુનાવણીમાં ફગાવી દીધી છે. આ અરજી ઝાકિયા જાફરી વતી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે SITના તપાસ રિપોર્ટને સાચો માન્‍યો છે. મહત્‍વનું છે કે, ઝાકિયા જાફરી પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્‍ની છે.  ત્‍યારે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભાજપના મોટા નેતાઓ કોર્ટના આ નિર્ણયને વધાવી રહ્યા છે. ગુજરાતના સીએમ ભૂપેન્‍દ્રભાઈ  પટેલ અને સી આર પાટીલે વિપક્ષ ઉપર પ્રહાર કરતાં મહત્‍વનું નિવેદન આપ્‍યું છે.
ગુજરાત રમખાણમાં પીએમ મોદીને ક્‍લીનચીટનો મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલનું નિવેદન સામે આવ્‍યું છે. તેઓ કહ્યું કે પીએમ મોદી વિરોધીઓની ચાલ ખુલ્લી પડી ગઇ છે. ૨૦૦૨માં થયેલ કોમી રમખાણો અંગે આક્ષેપો થયેલા. આક્ષેપો સાથે થયેલ પીટીશન સુપીમ કોર્ટે ફગાવી દીધી છે. નરેન્‍દ્રભાઈ  મોદીને બદનામ કરવાની રાજકીય ચાલ હતી. પીએમ મોદીને અગાઉ ક્‍લીનચીટ મળવા છતા પીટીશન કરાઇ હતી. પોતાનું રાજકીય અસ્‍તિત્‍વ ટકાવવા વિપક્ષે પ્રયાસ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે પીટીશન ફગાવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યુ છે. PMને બદનામ કરવાના વિપક્ષના નાકામ પ્રયાસો નિષ્‍ફળ કર્યા છે.
સમગ્ર મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે ૨૦૦૨માં ગુજરાત સરકારે રમખાણો રોકવાના પ્રયાસ કર્યા હતા. તત્‍કાલિકન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી નિર્દોષ સાબિત થયા હતા. મોદી સાહેબની સતત ૯ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. જે લોકોએ કાવતરા કર્યા હતા તે ખુલ્લા પડ્‍યા. કોંગ્રેસ દ્વારા સતત નરેન્‍દ્રભાઈ  મોદીને હેરાન કરવાના પ્રયાસ કર્યા આજે સુપ્રીમકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
જસ્‍ટિસ એ.એમ.ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સીટી રવિકુમારની બેન્‍ચે આ ચુકાદો આપ્‍યો હતો. સુપ્રીમ કોર્ટે ઝકિયા જાફરીની અરજી પર મેરેથોન સુનાવણી પૂર્ણ કર્યા બાદ સાત મહિના પહેલા ૯ ડિસેમ્‍બર ૨૦૨૧ ના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્‍યો હતો. ગુજરાત રમખાણોની તપાસ માટે રચાયેલી એસઆઈટીએ ગુજરાતના મુખ્‍યમંત્રી રહેલા ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેદ્રભાઈ મોદીને કલીન ચીટ આપી હતી.
અત્રે ઉલ્લેખીય છે કે, વર્ષ ૨૦૦૨માં ગુજરાત રમખાણો દરમિયાન ઝાકીયા જાફરીના પતિ અને તે વખતે કોંગ્રેસના સાંસદ રહેલા એહસાન જાફરીને તોફાની ટોળાઓએ ગુલબર્ગ સોસાયટીમાં હત્‍યા કરી નાખી હતી. આ મામલે એહસાન જાફરીની વિધવા પત્‍નીએ જાકીયા જાફરીએ એસઆઈટીના રિપોર્ટને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી રિપોર્ટને પડકાર્યો હતો.

 

(10:47 am IST)