ગુજરાત
News of Wednesday, 26th June 2019

રાજ્યમાં CNG વાહન ચાલકોને હવે લાંબી લાઇનમાં ઊભા નહીં રહેવું પડે રાજ્યમાં નવા ૩૦૦ CNG પંપ શરૂ કરાશે મુખ્યમંત્રીનો જનહિતનો નિર્ણંય

હવે રાજ્યમાં સરળતાથી CNG ઉપલબ્ધ થશે :પર્યાવરણ પ્રિય- પ્રદૂષણમુક્ત પરિવહન સેવાની સંકલ્પના સાકાર કરવા મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા

.અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 

  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે હાલ CNG વાહન ચાલકોને CNG માટે ફિલીંગ સ્ટેશન- પંપ ઉપર લાઇનમાં ઊભા રહેવું પડે છે તેમાંથી આ નિર્ણયને પરિણામે હવે મુક્તિ મળશે.                   

સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦થી વધારે નવા CNG સ્ટેશન ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન છે એમ પણ તેમણે જણાવ્યું હતું. 

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, અગ્રસચિવ એમ. કે. દાસ, ઊર્જાના અગ્રસચિવ પંકજ જોષી, GSPCના એમ.ડી. નટરાજન અને ગુજરાત ગેસના CEO  નિતીન પાટીલ તેમજ વરિષ્ઠ અધિકારીઓની યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. 

  વિજયભાઈ રૂપાણીએ આ ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત પર્યાવરણ પ્રિય- પ્રદૂષણમુક્ત પરિવહન સેવાથી ‘સ્વચ્છ ગુજરાત – સ્વસ્થ ગુજરાત’ની સંકલ્પના સાકાર કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. 

આ CNG સ્ટેશનની સ્થાપના રાજ્યના વિવિધ શહેરો તેમજ ધોરીમાર્ગ પર કરવામાં આવશે એટલું જ નહિં, ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા રાજ્યના ઉદ્યોગ સાહસિકોને આ ‘CNG સહભાગી યોજના’ અન્વયે CNG આધારિત હરિયાળી ક્રાંતિમાં સહભાગી થઈ મોટું વળતર મેળવવાની તક મળવાની છે. 

  મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું કે. રાજ્યમાં હાલ જ્યાં પેટ્રોલ પંપ કાર્યરત હોય તેવા પેટ્રોલ પંપ ધારકો પણ સરળતાએ CNG પંપ શરૂ કરી શકશે. આ માટે તેમણે કોઇ વધારાની પરવાનગીઓ સરકારમાંથી લેવાની રહેશે નહિં.  

આ ‘CNG સહભાગી યોજના’ અન્વયે શહેરી-નગરપાલિકા વિસ્તાર તથા હાઈવે પર સહભાગીદારી મોડેલ પદ્ધતિ અંતર્ગત સીએનજી ફ્રેન્ચાઈઝી (સ્વસંચાલિત ડિલર) મોડલ અને પીએસયુ- ઓએમસી ડિલર એમ બે પ્રકારના સીએનજી સ્ટેશનોનો સમાવેશ થાય છે. પીએસયુ-ઓએમસી ડિલર અંતર્ગત ઓનલાઈન સીએનજી સ્ટેશન (પાઈપલાઈન દ્વારા) અથવા ડોટર બુસ્ટર સીએનજી સ્ટેશન (પાઈપલાઈન વિના)નો સમાવેશ થાય છે. 

નવા સીએનજી સ્ટેશનનો પ્રારંભ કરવા માટે મુખ્ય સાધનો કંપની દ્વારા પૂરા પાડવામાં આવશે તેમજ અન્ય કાર્ય માટે સહયોગ પણ પૂરો પાડવામાં આવશે. એનઓસી અને સિવિલ કામ અરજીકર્તાએ કરવાનું રહેશે. અરજીકર્તા જે સ્થળે સીએનજી સ્ટેશન સ્થાપવા ઈચ્છતા હોય તે જગ્યાની માલિકી અરજીકર્તાની હોવી આવશ્યક છે, તેમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું.  

 વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યાના સહિયારા ઉકેલ તરીકે વાતાવરણમાં કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે ગુજરાતે હંમેશાં હકારાત્મક દિશામાં પગલાં લીધાં છે. ડીઝલ અને પેટ્રોલની તુલનામાં સીએનજી વધારે પ્રમાણમાં સ્વચ્છ અને સુરક્ષિત ઈંધણ છે. ગુજરાત નેચરલ ગેસના ઉપયોગ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે                                                      

રાજ્યમાં પાછલા ૨૩ વર્ષમાં ૫૪૨ CNG સ્ટેશન ઊભા કરાયા છે, તેની સામે આગામી બે વર્ષમાં જ નવા ૩૦૦ CNG સ્ટેશન ઊભા કરીને ગુજરાત નેચરલ ગેસ – સુરક્ષિત ઇંધણના ઉપયોગમાં અગ્રેસર રહેશે અને CNG ક્ષેત્રે ગુજરાત દેશને નવી દિશા આપશે. 

  મુખ્યમંત્રીશ્રીએ CNG વાહનચાલકો – ધારકોને સરળતાએ CNG ઉપલબ્ધ થાય તે સાથે જ ઘરેલું વપરાશકારો ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ માટે PNG નેટવર્કને પણ વ્યાપક બનાવવા આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. 

  તદઅનુસાર, હાલ ૧૩.૫૦ લાખ ઘરોમાં PNG ગેસનો ઉપયોગ થાય છે તે વધારીને આગામી ૩ વર્ષમાં વધુ ૪.૫૦ લાખ ઘરોમાં વિસ્તારી ૨૦૨૨ સુધીમાં ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા ૧૮ લાખ ઘરોને PNG ગેસથી સાંકળી લેવાના આયોજનને પણ ઓપ આપવામાં આવ્યો હતો. 

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ઘરેલું વપરાશકર્તાઓ સંપૂર્ણતઃ PNG નેટવર્કનો ઉપયોગ કરતા થાય તે માટે વાર્ષિક બે લાખ સુધીની આવક ધરાવતા પરિવારો માટે PNG કનેક્શનની ડિપોઝિટ રૂ. ૧ હજાર તથા બે લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા પરિવારો માટે રૂ. પાંચ હજાર ડિપોઝિટ લેવાય તે અંગે પણ બઠકમાં સૂચન કર્યું હતું. 

આ બેઠકમાં એવી પણ વિગતો આપવામાં આવી હતી કે ગુજરાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં “પ્રદૂષણમુક્ત નયા ભારત”ના નિર્માણમાં આ પર્યાવરણ પ્રિય CNG-PNG ગેસના વપરાશથી અગ્રેસર રહ્યું છે. 

  આ વર્ષે ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરના ગેસ વેચાણમાં બે ગણી એટલે કે ૪૦ લાખ SCMDથી વધીને ૮૦ લાખ SCMDની વૃદ્ધિ થઈ છે.  

  ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેના તમામ જિલ્લાઓમાં સિટી ગેસના વિતરણ માટેની અધિકૃત મંજૂરીઓ મળેલી છે. 

સમગ્ર દેશમાં ૧૭૬૨ CNG સ્ટેશનો સ્થપાયા છે, તેમાંથી ૩૧ ટકા એટલેકે ૫૪૨ CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. 

  આ ૫૪૨ સ્ટેશનમાંથી ૩૪૪ સ્ટેશન એટલે કે ૬૨ ટકા સ્ટેશન્સ ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ સંચાલિત છે. આ CNG સ્ટેશન દ્વારા અંદાજે ૩.૫૦ લાખથી વધુ CNG વાહનોને રોજનો ૧૭.૪૦ લાખ કિ.ગ્રા. CNG ગેસ સરળતાએ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 

  અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, CNG ફ્રેન્ચાઇઝી પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવશે તેમજ આ સમગ્ર યોજનાની વધુ વિગતો www.cngsahbhaagi.com વેબસાઇટ પરથી પણ ઉપલબ્ધ થશે.

(11:27 pm IST)