સુરતમાં વનિતા વિશ્રામ સ્કૂલના વાલીઓનો હલ્લાબોલઃ સ્કૂલ વાન ચાલકોએ ખર્ચ વાલીઓ પાસે વસુલતા રોષ
સુરત: નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ આરટીઓ અને ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી હતી. ડ્રાઇવ દરમિયાન આરટીઓ દ્વારા 400થી વધુ સ્કૂલ વાનમાં નિયમ કરતા વધુ બાળકો બેસાડતા ડિટેઇન કરવામાં આવી છે. જેથી તમામ સ્કૂલ વાન દ્વારા ફરજિયાત પણે ટેક્ષી અને મેક્ષી પાર્સિંગ જરૂરી બની ગયુ હતુ.
ટેક્ષીપાર્સિગ માટે સ્કૂલ વાન ચાલકોએ રૂપિયા 35થી 40 હજારનો ખર્ચ કરવાની નોબત આવી રહી છે. જેથી આ ખર્ચ તેમને વાલીઓ પર ઠોકી બેસાડ્યો છે. જે ભાડૂ રૂપિયા 500 હતુ તેનું 1000 કરી દેવામાં આવ્યું છે. જેથી વાલીઓ દ્વારા તેમના બાળકોને સ્કૂલ વાનમાં મોકલવાનું બંધ કરી દેવાયું હતું. વાલીઓ દ્વારા આ અંગે સ્કૂલ સંચાલકની મદદ માગી હતી.
જો કે, સ્કૂલ સંચાલકો દ્વારા પણ હાથ ઉંચા કરી દેવામાં આવ્યા હતા. જેથી આજે વનિતા વિશ્રામ સ્કૂલના વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. તેમના દ્વારા સ્કૂલ સંચાલકોને બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જો આ બે દિવસમાં યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો વાલીઓ દ્વારા 28મી જૂનના રોજ સ્કૂલ કેમ્પસમાં જ ધરણાંનો કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે, વાલીઓ પાલીકાના ડેપ્યુટી કમિશ્નર પાસે પણ ગયા હતા. જ્યાં ડેપ્યુટી કમિશ્નરે બસની સુવિધા આપવાની હા પાડી હતી. જો કે, તેમની જે તે વિસ્તારની અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ જ બસમાં આવશે તેવી વાત કરતા વાલીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેઓની એક જ માગ છે કે વિદ્યાર્થીઓના માટે અલગથી જ બસ રાખવામાં આવે કે જેથી તેઓની સુરક્ષા જળવાય. હવે જોવાનું રહ્યું કે સ્કૂલ સંચાલક અને મનપા આ અંગે કયા પ્રકારનો નિર્ણય લે છે.