કલોલમાં અશોક પટેલની હત્યાઃ તલવારના ઘા ઝીંકીને યુવકની કરપીણ હત્યા કરાતા રોષ ભભૂક્યોઃ હિન્દુ સમાજ દ્વારા કલોલ બંધઃ હત્યા કરનારા ન પકડાય ત્યાં સુધી ધરણા
કલોલઃ કલોલ તાલુકાના છત્રાલ ગામે અશોક પટેલ નામના યુવકની હત્યા થતા ભારે રોષ ફેલાઇ ગયો છે અને આજે કલોલ બંધનું અેલાન અપાતા તેને સમર્થન આપવામાં આવ્યું છે અને જ્યાં સુધી હત્યા કરનારા ન ઝડપાય ત્યાં સુધી ધરણા કરીને રોષ વ્યક્ત કરવામાં આવશે.
અજાણ્યા શખ્સોએ અશોક પટેલ નામના યુવકની હત્યા કરી હતી. તલવારના ઘા ઝીંકીને યુવકની કરપીણ હત્યા કરાઈ હતી. જેના બાદ સમગ્ર કલોલમાં રોષ ફાટી નીકળ્યો હતો. તેના મૃતદેહને કલોલ સિવિલમાં પીએમ માટે ખસેડાયો હતો, ત્યારે મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા કલોલ સિવિલમાં ઉમટી પડ્યા હતા. આ કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો.
આ હત્યા અંગત અદાવતને કારણે કરાઈ હોવાની આશંકા તેના પરિવારજનોને છે. તેથી સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આજે કલોલ બંધ અને ધરણાં કાર્યક્રમનું એલાન અપાયું છે. હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી ધરણાં કાર્યક્રમ ચાલુ રહેશે તેવું તેમણે જણાવ્યું હતું.