બેબુનિયાદ આક્ષેપ કરીને કોંગ્રેસ તૃષ્ટીકરણની રાજનીતિ રમવાનો પ્રયાસ કરે છે. :ભરત પંડયા
.( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ :ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસ વારંવાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની જૂની કેસેટ વગાડીને “તૃષ્ટીકરણ”નું રાજકારણ રમવા સતત પ્રયાસ કરે છે.
ગુજરાતની જનતા જાણે છે કે, તા.24 ફેબ્રુના રોજ થયેલ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને અને કોરોનાને કશું જ, ક્યાંય લાગતું-વળગતું નથી. પરંતુ ગુજરાત કોંગ્રેસને કેન્દ્રની કોંગ્રેસની વારંવાર સૂચનાને કારણે બોલવું પડે છે. દિલ્હીમાં થયેલ તબલીગી જમાતના કાર્યક્રમ અને પછી જે તે સમયે કોરોના ફેલાયો તે ક્યાંથી ફેલાયો ? કેવી રીતે ફેલાયો ? અને ક્યાં કયાં ફેલાયો ? તેનાં આંકડાઓ સાથે સમગ્ર મિડીયા જગતે બતાવ્યું એટલે મિડીયા અને ભાજપને કાઉન્ટર કરવા માટે તૃષ્ટીકરણનું રાજકારણ રમવા માટે કોંગ્રેસે ભાજપ ઉપર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અંગે વારંવાર જૂઠ્ઠો, બેબુનિયાદ આક્ષેપ કરી રહી છે. તે ગુજરાતની જનતા સારી રીતે સમજી ચુકી છે.
પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ પહેલેથી જ કહેતું આવ્યું છે કે, કોંગ્રેસના વિચારો, કાર્યક્રમો, નિવેદનો એ જનહિત અને દેશહિત વિરૂદ્ધના હોય છે. કોંગ્રેસે જીલ્લાવાર હોસ્પિટલની મુલાકાત લઈને વિવાદ-વિરોધ કરવાનો કાર્યક્રમ એ માત્ર સેવામાં નડતર ઊભું કરવાનો કાર્યક્રમ છે. જેઓ પોતાના જાન જોખમમાં મુકીને દર્દીઓની સેવા કરે છે. તેવાં કોરોના વોરીયર્સ અને દર્દીઓને હેરાન-પરેશાન કરવા, તેમને ડીસ્ટર્બ કરવાની વાત એ કોંગ્રેસનું માનવતાભર્યું પગલું નથી. કોંગ્રેસે આવા કાર્યક્રમો ન આપવા જોઈએ.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં મંત્રીશ્રીઓ અને સમગ્ર સરકારીતંત્ર સેવાના મંત્ર સાથે કામે લાગ્યું છે. કોરોનાની પરિસ્થિતિમાં એકબીજા પર આક્ષેપ કરવાનો આ સમય નથી. આ સંવેદના બતાવવાનો અને સેવા કરવાનો સમય છે.
કોંગ્રેસે “કોરોના”માં “જૂઠ મત બોલોના”, “વિવાદ મત કરોના”, મહેરબાની કરીને “સેવા કરોના” અને સેવા ન કરવી હોય તો “નડોના’’ પ્લીઝ. કોંગ્રેસના 55 વર્ષના ભ્રષ્ટ અને કૂશાસનમાં કેટલો ભ્રષ્ટાચાર થતો હતો તે જનતા જાણે છે. ભ્રષ્ટ શાસનને કારણે વિશ્વમાં ભારત બદનામ થયું હતું. કોંગ્રેસને પૂછવા માંગીએ છીએ – શું કોઈપણ લાભાર્થીઓને સીધેસીધાં પૈસા તેમના ખાતામાં જમા થતાં હતાં ? નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર અને વિજયભાઈ રૂપાણીની રાજય સરકારમાં અબજો રૂપિયા કરોડો લોકોના ખાતામાં જમા થાય છે. ખેડૂતો, મહિલાઓ, શ્રમિકો, દિવ્યાંગો અને વિધવા બહેનો સહિત કરોડો લાભાર્થીઓને 437 યોજનામાં DBT દ્વારા સીધેસીધા બેંક ખાતામાં પૈસા જમા થતાં હોવાથી પારદર્શિતાના કારણે લાખો કરોડો રૂપિયા બચ્યાં છે. જયારે કોંગ્રેસ શાસનમાં પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, 1 રૂ.મોકલું છું અને 15 પૈસા પહોંચે છે. 1 રૂ.માં 85 પૈસાનો ભ્રષ્ટાચાર કરીને 10 લાખ કરોડોનો ભ્રષ્ટાચાર કરનાર કોંગ્રેસ ભાજપને કયા મોઢે સલાહ આપે છે. ? તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.