ગુજરાત
News of Saturday, 25th May 2019

અગ્નિકાંડ બાદ ડેપ્યુટી ફાયર ઓફિસર સામે કઠોર પગલા

ગંભીર બેદરકારી બદલ કમિશનરે સસ્પેન્ડ કર્યા : સમગ્ર પ્રકરણમાં હજુ તપાસ ચાલુ હોવાનો સુરત મનપા કમિશનરનો દાવો : હજુ અન્ય સામે કાર્યવાહીના ભણકારા

અમદાવાદ,તા. ૨૫ :  સુરતમાં તક્ષશિલા કોમ્પલેક્ષમાં સર્જાયેલા આગકાંડ બાદ સુરત મહાનગરપાલિકા કમિશનરે આજે આખરે આકરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી હતી અને સુરત ફાયરબ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને ફાયર ઓફિસર કિર્તી મોઢને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. સુરત મનપા સત્તાધીશોના આ નિર્ણયને પગલે ફાયરબ્રિગેડ અને સુરત મનપા તંત્ર વર્તુળમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. સુરત આગકાંડ દરમ્યાન ગંભીર બેદરકારી દાખવવા બદલ સુરત મનપા કમિશનર દ્વારા આ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકા કમિશનરે આજે એક મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં આગમ આર્કેડની આગ બાદ તમામ ક્લાસિસ, હોટલ, મોલ સહિતની જાહેર જગ્યાએ ફાયરના સાધનો અંગે સર્વેલન્સ કરવાનું કહેવામાં આવ્યું હતું. ેબેઠકમાં તમામ હકીકતો અને પાસાઓ ધ્યાનમાં લીધા બાદ આ કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને ફાયર ઓફિસર કિર્તી મોઢને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. સુરત મનપા કમિશનર એમ.થૈન્નારસને જણાવ્યું હતુ કે, સુરત આગકાંડ મામલે અમે હજુ તપાસ ચલાવી રહ્યાં છીએ. કેટલા વાગ્યે આગનો કોલ હતો અને ફાયર કેટલા વાગ્યે નીકળ્યું તથા કેટલા વાગ્યે ઘટના સ્થળે પહોંચ્યુ તે તમામ બાબતોની તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. હાલ પ્રાથમિક તબક્કે આ બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. વેસુના આગમ આર્કેડમાં આગ લાગ્યા બાદ શહેરની તમામ જાહેર ઈમારતોમાં ફાયરના સાધનો લગાવવાની નોટિસ અને સાધનો ન લગાવે તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા તેમ છતાં આ દુર્ઘટના સામે બની છે જેમાં માસૂમોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. શહેરી વિકાસ સચિવ મુકેશ પુરીએ સુરતમાં જણાવ્યું હતું કે, હાલ સમગ્ર તપાસ ચાલી રહી છે. વિવિધ ટીમો દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે અને મને ખાસ ગાંધીનગરથી આ તપાસના રિપોર્ટ માટે મોકલવામાં આવ્યો છે. વહેલી તકે રિપોર્ટ તૈયાર કરીને જે પણ જવાબદાર હશે તેનો રિપોર્ટ સરકારને સુપ્રરત કરવામાં આવશે. સુરત મનપા કમિશનર અને શહેરીવિકાસ સચિવ મુકેશ પુરી વચ્ચે પાલિકામાં બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી. જેમાં જવાબદારો સામે પગલાં લેવાથી લઈને કેવી રીતે સમગ્ર દુર્ઘટનામાં કેવી રીતે આગળની કાર્યવાહી કરવી તે સહિતના મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાઇ હતી.

 

 

(9:29 pm IST)