જવાહર ચાવડા, ડો. આશા પટેલ, પરશોતમ સાબરિયા, રાઘવજી પટેલ જીતી જતા
ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબટન ૧૦૪નું થશે
અમદાવાદ, તા.૨૫: લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં પક્ષ બદલીને બીજેપીમાં આવેલા કોંગ્રેસના ચાર ભૂતપૂર્વ વિધાનસભ્યો પેટાચૂંટણી જીતી જતાં હવે ગુજરાત વિધાનસભામાં બીજેપીની સભ્ય સંખ્યાનો આંકડો ૧૦૪નો થશે.
લોકસભાની ચૂૂંટણી અગાઉ કોંગ્રેસના વિધાનસભ્યો જવાહર ચાવડા, ડો. આશા પટેલ, પરસોતમ સાબરિયા કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાયાં હતાં. તે પહેલાં રાઘવજી પટેલ પણ કોંગ્રેસને અલવિદા કરીને બીજેપીમાં જોડાઇ ગયા હતા. કોંગ્રેસના આ વિધાનસભ્યોને બીજેપીએ પેટાચૂંટણીમાં તેમના પક્ષના ઉમેદવાર બનાવ્યા હતો કોંગ્રેસના વિધાનસભ્યોએ પક્ષ બદલી પેટાચૂંટણી લડીને જીતી જતા બીજેપી ગુજરાત વિધાનસભામાં ૧૦૦નો આંકડો પાર કરી હવે ૧૦૪ના આંકડે પહોંચશે.
ગુજરાતમાં માણાવદર, ઊંઝા, ધ્રાંગધ્રા અને જામનગર (ગ્રામ્ય)વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાયા બાદ ગુરૂવારે જાહેર થયેલાં પરિણામોમાં માણાવદર બેઠક પરથી ગુજરાતના પ્રધાન જવાહર ચાવડા, ઊંઝા બેઠક પરથી ડો. આશા પટેલ, ધ્રાંગધ્રા બેઠક પરથી પરસોતમ સાબરિયા અને જામનગર (ગ્રામ્ય)બેઠક પરથી રાઘવજી પટેલે પેટાચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર તરીકે જીત મેળવી છે.