દહેગામમાં ઝઘડાની અદાવત રાખી ચાર શખ્સોએ આધેડનું ઢીમ ઢાળ્યું
દહેગામ:શહેરમાં રહેતાં આધેડને ચાર વર્ષ અગાઉ પાડોશી સાથે દિવાલ બાબતે તકરાર થઈ હતી અને તેની અદાવત રાખી ચાર શખ્સોએ તેમની સાથે ગઈકાલે મારામારી કરતાં ગંભીર રીતે ઘાયલ આધેડનું મોત નીપજયું હતું. આ હત્યા સંદર્ભે દહેગામ પોલીસે ચાર શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે. દહેગામ ખાતે આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતા અકબરભાઇ કરીમભાઇ મનસુરી પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે રહેતા હતા. તા.૨૩ મેની રાત્રે અકબરભાઇ તેમની નાની પુત્રી અને પત્ની સાથે ઘરે સાંજની છેલ્લી નમાજ બાદ ઘરે પરિવાર સાથે હાજર હતા. તે જ દરમિયાન અકબરભાઇની મોટી દીકરીએ તેના માતા-પિતાને વાત કરતા જણાવ્યું કે આજે જ્યારે તે દૂધ લઇને ઘરે પરત ફરી રહી હતી. ત્યારે બાજુમાં જ રહ્યા સિરાજભાઇ શેખના નાના પુત્ર હુસ્ના મુબારક તેનું બાઇક લઇ અને જાણી જોઇ મારા ઉપર બાઇક નાખ્યું અને મને ઘસાઇને ગયો અને તે છેલ્લા ૩-૪ દિવસથી આવી હેરાનગતિ મને કરે છે.ચાર વર્ષ અગાઉ અકબરભાઇ અને સિરાજભાઇ વચ્ચે દીવાલ બાબતે તકરાર થઇ હતી અને ત્યારબાદ બંને પરિવારોને બોલવાના પણ સંબંધ ન રહ્યાં હતાં.