આણંદના અમીન ઓટો નજીક પુરપાટ ઝડપે જતી કારે સાયકલને હડફેટે લીધી: સાયકલ ચાલકનું મોત
આણંદ: શહેરના અમીન ઓટો સામે આવેલા ફાયર સ્ટેશનની પાછળની ચૈતન્ય ટાઉનશીપ-૨ સોસાયટી પાસે ગઈકાલે સવારના સુમારે પુરપાટ ઝડપે જતી એક કારે સાયકલને ટક્કર મારતાં ચાલકનું સારવાર દરમ્યાન આણંદની જનરલ હોસ્પિટલમાં મોત થયું હતુ. આ અંગે શહેર પોલીસે ટક્કર મારીને ફરાર થઈ ગયેલા કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર મુળ દાહોદ જિલ્લાના ગરબાડા ગામનો પરંતુ હાલમાં આણંદ ખાતે રહીને મજુરી કામ કરીને જીવન ગુજરાન ચલાવતો પ્રવિણભાઈ માલાભાઈ મંડોડ ગઈકાલે સવારના સુમારે સાયકલ લઈને મોગરી ગામે મોબાઈલ ફોન લેવા માટે જઉં છું તેમ જણાવીને નીકળ્યો હતો. પોણા અગિયાર વાગ્યાના સુમારે ચૈતન્ય ટાઉનશીપ-૨ પાસે આવેલા અમૂલ પાર્લર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી કાર નંબર જીજે-૨૩, એમ-૭૦૦૫એ ટક્કર મારતાં તે ઉછળીને પડ્યો હતો અને માથાના ભાગે ઈજાઓ થવા પામી હતી. જેથી તેને તુરંત જ સારવાર માટે ૧૦૮ મોબાઈલ વાન દ્વારા આણંદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનુ મોત થયું હતુ.