કાલે ઈજનેરી - ફાર્મસી સહિતના કોર્ષમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા
રાજકોટમાં ૯૯૬૭ મળી સમગ્ર ગુજરાત રાજયમાં ૧ લાખ ૩૪ હજાર પરીક્ષાર્થીઓ : કંટ્રોલ રૂમનો પ્રારંભ
રાજકોટ, તા. ૨૫ : ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ તા.૨૬ના ગુજકેટની પરીક્ષા લેવામાં આવનાર છે. વિજ્ઞાન પ્રવાહના ૧ લાખ ૩૪ હજાર વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.
ગુજરાતની ઈજનેરી, ફાર્મસી, વેટરનીટી સાયન્સ અને એગ્રી કલ્ચરમાં પ્રવેશ ઈચ્છુકો માટે શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. ગુજકેટની પરીક્ષાને અનુસંધાને રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લા કક્ષાએ પરીક્ષાના સંચાલન માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
ગુજકેટની પરીક્ષામાં ફિઝીકસ, કેમેસ્ટ્રી અને બાયોલોજી મેથ્સના પેપર લેવામાં આવશે. જુદા જુદા ગ્રુપમાં ૧૨૦ માર્કના ઓએમઆર પદ્ધતિ મુજબ પ્રશ્નપત્રમાં માઈનસ માર્ક પદ્ધતિથી લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. રાજકોટમાં કુલ ૯૯૬૭ પરીક્ષાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપનાર છે.