ગુજરાત
News of Monday, 25th March 2019

સુરત લોકસભા બેઠક માટે હવે ભાજપમાંથી પી.પી. સવાણી ગ્રુપના ઉદ્યોગપતિ મહેશ સવાણીનું નામ પણ ચર્ચામાં

સુરત :ભાજપમાં આ ચૂંટણીમાં અનેક સાસંદોને રિપીટ ન કરાય તેવી ચર્ચા પહેલેથી જ ચાલી રહી હતી, ત્યારે આ લિસ્ટમાં સુરતના સાંસદ દર્શના જરદોષનું નામ પણ હતું. ચર્ચા હતી કે, દર્શના જરદોષનું પત્તુ કપાઈ શકે છે. ત્યારે સુરત બેઠક પર વધુ એક નામ ચર્ચામાં આવ્યું છે. મૂળ સૌરાષ્ટ્રના અને પી.પી.સવાણી ગ્રૂપ સાથે જોડાયેલા ઉદ્યોગપતિ મહેશ સવાણી પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ભાજપ તેમને ટીકિટ આપે તેવી પૂરેપૂરી શક્યતા છે.

મહેશ સવાણીને ટિકીટ ફાળવાય તે માટેના કારણો

મહેશ સવાણી ઉદ્યોગપતિ હોવાની સાથે સામાજિક આગેવાન પણ છે. સામાજિક કાર્યો માટે મહેશ સવાણી ગુજરાતભર માટે જાણીતું નામ છે. તેમનું સવાણી ગ્રૂપ અનાથ કન્યાઓના લગ્ન કરાવે છે. તેમજ પાટીદાર આંદોલન સમયે મહેશ સવાણી સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે મધ્યસ્થી રહ્યા હતા.  ભાજપ સૌરાષ્ટ્રવાસી બિન-રાજકીય ચહેરા તરીકે મહેશ સવાણીને લાવી શકે છે. મહેશ સવાણીએ જણાવ્યું હતું કે મને ટિકિટ મળે તો સુરતમાં 65 ટકા મૂળ સૌરાષ્ટ્રના મતદારો હોવાથી ભાજપને ફાયદો થાય તેમ છે અને તેની અસર બારડોલી, ભાવનગર, જૂનાગઢ બેઠકને પણ પડશે.

ઉલ્લેખનીય છે કે, શનિવારે ભાજપે લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 16 બેઠકો માટેનાં ઉમેદવારો જાહેર કર્યા હતા. પરંતુ તેમાં સુરત પરનાં ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યાં. ત્યારે ટૂંક સમયમાં આ નામ પરથી પણ સસ્પેન્સ ઉઠી શકે છે.

સુરત લોકસભા સીટ પર ભાજપે 1989થી દબદબો જાળવી રાખ્યો છે. સ્વ.કાશીરામ રાણા 6 વાર આ બેઠક પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે. દર્શના જરદોષ વર્ષ 2009 અને 2014માં બીજી વખત પાંચ લાખની જંગી સરસાઈ આ બેઠક જીત્યા હતા. ત્યારે આ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસ વિરોધી ગણાતી બેઠક છે. ભાજપ માટે સૌથી સલામત ગણાતી બેઠકો પૈકી એક સુરત હોવાનું નકારી શકાય તેમ નથી. તેથી જ શનિવારના લિસ્ટમાં સુરત બેઠકના ઉમેદવારની જાહેરાત કરાઈ નથી. ત્યારે સુરત બેઠક પર પરિવર્તન કે પુનરાવર્તન થશે? તેને લઈને ભાજપ છાવણીમાં પણ ચર્ચા જાગી છે. ત્યારે બીજી તરફ, વડાપ્રધાન ખુદ સુરતથી ઉમેદવાર બને તેવી પણ ત્રીજી શક્યતા સેવાઈ રહી છે.

(4:58 pm IST)