વડોદરાના નંદેસરી જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં કેમિકલના કારણોસર દાઝી જવાથી યુવાન કર્મચારીનું મોત
વડોદરા: શહેરના નંદેસરી જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં કેમિકલના કારણે દાઝી ગયેલા યુવાન કર્મચારીનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે નંદેસરી ગામમાં તળાવ પાસે રહેતો ૩૫ વર્ષનો જગદીશ રમેશભાઇ પરમાર નંદેસરી જીઆઇડીસીમાં આવેલી સ્વાતિ ક્લોરાઇડ પ્રા.લી. કંપનીમાં નોકરી કરતો હતો. સાંજના સુમારે નોકરી પૂર્ણ થવાના સમયે તે ક્લોરાઇડ પાઇપ પાસે ગયો ત્યારે અચાનક પાઇપ તૂટી જતા અંદરથી ઉછળેલું કેમિકલ જગદીશના શરીર પર પડતા તેણે બૂમાબૂમ કરતા અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતાં.
આખા શરીરે સખત રીતે દાઝી ગયેલા જગદીશને છાણી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે જગદીશનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. જો કે જગદીશના પરિવારજનોએ આક્ષેપો કરતા પીએમ માટે મૃતદેહને બાજવા સરકારી દવાખાને ખસેડાયો હતો. બીજી બાજુ મૃતક જગદીશના પરિવારજનો રાત્રે કંપની પર ઘસી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.