અમદાવાદના ચાંદખેડામાં મકાન માલિકે બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવાન ભાડુઆતને મકાન ખાલી કરાવતા ઉશ્કેરાયેલ શખ્સે ફાયરિંગ કરતા ગુનો દાખલ
અમદાવાદ:ચાંદખેડામાં મકાન માલિકે તેની બહેન સાથે પ્રેમસંબંધ રાખનારા ભાડુઆતને મકાન ખાલી કરાવી દીધું હતું. જેને પગલે ઉશ્કેરાયેલા આરોપીએ મકાન માલિક પર ફાયરીંગ કરતા તેમના પેટમાં અને હાથમાં ઈજા થઈ હતી. આ અંગેે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ ચાંદખેડામાં જનતાનગર સોસાયટીમાં સંજયભાઈ એન.યાદવ(૪૭) સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.તેમની મોટી બહેન પરિવાર સાથે દહેરાદુન રહે છે. અન્ય બે ભાઈ તેમનાથી અલગ રહે છે. એક ભાઈ કુલદીપકુમાર(૫૭) પાકિસ્તાનની જેલમાં બંધ છે. જેને છોડાવવા સંજયભાઈનો પરિવાસ્સરકાર સાથે ઝઝુમી રહ્યો છે. તેમની બહેન રેખા ૨૦૧૮માં બીએસએફમાં જોધપુર ખાતે ફરજ બજાવે છે.
દરમિયાન સંજયભાઈએ તેમના બનેવીના કહેવાથી દિલ્હીના રહેવાસી જીતેન્દ્ર શર્માને તેમના મકાનમાં ભાડુઆત તરીકે રાખ્યો હતો.જે આ મકાનમાં ત્રણેક વર્ષ રહ્યો હતો. બીજીતરફ પ્લાયવુડના સેલ્સમેનનું કામ કરતા જીતેન્દ્ર શર્માને સંજયભાઈની બહેન રેખા સાથે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. આથી સંજયભાઈએ મકાન ખાલી કરાવીને જીતેન્દ્ર શર્માને કાઢી મુક્યો હતો.
બીજીતરફ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા સંજયભાઈ ૨૪ ફેબુ્રઆરીના રોજ સાયકલ પર નોકરી જઈ રહ્યા હતા ત્યારે તેમની સોસાયટી નજીક રસ્તામાં જીતેન્દ્ર શર્મા પગપાળા આવ્યો હતો.તેણે કંઈપણ બોલ્યા વગર તેની પાસેના દેશી કટ્ટા વડે સંજયભાઈ પર ફાયરીંગ કર્યું હતું. જેમાં સંજયભાઈના ડાબા હાથમાં અને પેટના ભાગે ઈજા પહોંચી હતી. જીતેન્દ્ર ભાગવા જતા સંજયભાઈએ તેને પથ્થર મારવાની કોશિષ કરી હતી પણ તે ભાગી ગયો હતો. સારવાર અર્થે તેમને ચાંદખેડાની એક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે તેમણે જીતેન્દ્ર શર્મા વિરૃધ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.