ગુજરાત
News of Thursday, 25th February 2021

સંપૂર્ણ બેભાન કર્યા વગર જ દર્દીની ખોપડીનું ઓપરેશન

મજૂરી કામ કરતા શખ્સ પર જટિલ સર્જરી કરાઈ : દર્દીને ૮ મહિનાથી માથામાં ભયાનક દુઃખાવો થતો હતો અને તેમને હલનચલન કરવામાં પણ તકલીફ પડતી હતી

આણંદ, તા. ૨૪ : ઓપરેશનનું નામ સાંભળીને જ ભલભલાને કંપારી છૂટી જતી હોય છે. જોકે, પેટલાદના વતની એવા ૪૧ વર્ષના ઉદેસિંહ વસાવાને સંપૂર્ણ બેભાન કર્યા વિના જ તેમના મગજનું અત્યંત જટિલ ઓપરેશન કર્યું હતું. સર્જરી દરમિયાન પેશન્ટની ખોપડી ખોલવામાં આવી હતી, અને આ દરમિયાન તેઓ ડૉક્ટર સાથે વાતો કરતા રહ્યા હતા. દર્દીને છેલ્લા આઠ મહિનાથી માથામાં ભયાનક દુઃખાવો થતો હતો, અને તેમને હલનચલન કરવામાં પણ તકલીફ પડતી હતી.

મજૂરીનું કામ કરતાં ઉદેસિંહ વસાવાને મગજમાં બ્લિડિંગ થવાની સમસ્યા હતી. જેના કારણે તેમનો ડાબો હાથ અને પગ નબળા પડી ગયા હતા. જેથી તેમની બ્રેઈન સર્જરી કરવી જરુરી બની ગઈ હતી. ચાંગા સ્થિત ચારુસત હોસ્પિટલના ડૉ. હિતેષ પટેલના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે મગજની સર્જરીમાં દર્દીને સંપૂર્ણ બેભાન કરી દેવાતા હોય છે, પરંતુ આ સર્જરી અલગ હતી.

તેમણે જણાવ્યું હતું કે, આ સર્જરીમાં પેશન્ટ ભાનમાં હતા, અને ડોક્ટર સાથે વાત પણ કરતા હતા. દર્દીના શરીરનું હલનચલન બરાબર થાય છે કે નહીં તે ચેક કરવા માટે સર્જરી દરમિયાન તેમને ભાનમાં રાખવામાં આવે છે. ઓપરેશન ટેબલ પર આંખ ખૂલ્લી રાખીને સૂતેલા દર્દીને સર્જરી વખતે ડૉક્ટરે શરીરના અલગ-અલગ અંગ હલાવવા કહ્યું હતું, અને દર્દીએ તેનો પ્રતિભાવ પણ આપ્યો હતો.

ડૉ. પટેલના જણાવ્યા અનુસાર, સર્જરી પહેલા પેશન્ટનું અડધું શરીર નબળું પડી ગયું હતું. સર્જરી દરમિયાન તેમની ખોપડીની જમણી તરફની તમામ નર્વ્સ બ્લોક કરી દેવાઈ હતી, તેમને માઈલ્ડ એનેસ્થેશિયા આપી તેમની ખોપડીને ખોલવામાં આવી હતી. ત્યારબાદ મગજની અંદર જ્યાં બ્લિડિંગ થઈ રહ્યું હતું ત્યાં ડોક્ટર્સ પહોંચ્યા હતા.સામાન્ય રીતે બ્રેઈન ટ્યૂમર કે પછી એપિલેપ્ટિક સીઝરના પેશન્ટને ભાનમાં રાખીને સર્જરી કરવામાં આવતી હોય છે. જો બ્રેઈન ટ્યૂમરનો હિસ્સો મગજનો જે ભાગ દ્રષ્ટિ, હલનચલન કે પછી બોલવાની ક્ષમતાને કાબૂમાં રાખે છે તેને સ્પર્શતો હોય તો દર્દીને મોટાભાગે ભાનમાં રાખીને જ સર્જરી કરવામાં આવે છે.

સર્જરી દરમિયાન ડૉક્ટર દર્દી સાથે વાતો કરતા રહે છે, તેને સવાલ પૂછતા રહે છે અને ક્યારેક શરીરના વિવિધ અંગ હલાવવા માટે પણ કહેતા રહે છે. દર્દીનો પ્રતિભાવ સર્જનને એ વાતની ચોકસાઈ કરવામાં મદદ કરે છે કે તેઓ મગજના જે ભાગને ઓપરેટ કરવાની જરુર છે તેને જ ઓપરેટ કરી રહ્યા છે કે કેમ. આ સર્જરીથી શરીરના વિવિધ ભાગોને કાબૂ કરતા મગજના જે-તે હિસ્સાને ડેમેજ થવાનું જોખમ ખૂબ જ ઘટી જાય છે. જો તેમ ના કરવામાં આવે તો સર્જરી બાદ દર્દીનું વિઝન, બોલવાની કે હલન-ચલન કરવાની ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે.

(9:24 pm IST)