ગુજરાત
News of Thursday, 25th February 2021

૨૭ બેઠકો જીત્યા પછી આપે પાસનો આભાર માનવાનું ટાળ્યું

સુરતના પાટીદારોને આશ્ચર્ય થયું :કોંગ્રેસને ચૂંટણીમાં બેઠકો જીતવામાં સફળતા મળી હતી અને અહીં ભાજપ સામે આક્રામક વિરોધ નોંધાયો હતો

સુરત,તા.૨૪ : સુરતમાં આપ (આમ આદમી પાર્ટી)ની જબરજસ્ત એન્ટ્રી થઈ ગઈ પણ આ એન્ટ્રી માટે આપે પાટીદારોનો આભાર માનવાનું યોગ્ય ના લાગ્યું. જ્યારે આપને પૂછવામાં આવ્યું કે શું તમને પાટીદારોથી ફાયદો થયો છે તો જવાબ હામાં મળવાની આશા જોવાઈ રહી હતી પરંતુ જવાબ કંઈક અલગ જ મળ્યો. આ જવાબ વિશે જાણીને ઘણાં પાટીદાર અને પાસના કાર્યકર્તાઓને નવા લાગી હોવાનું ચર્ચા થઈ રહી છે. સુરતમાં મહાનગર પાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો તો બીજી તરફ આમ આદમી પાર્ટીને એવી વધાવી લેવામાં આવી કે તે હવે મુખ્ય વિરોધ પક્ષ તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેસશે. આપે સુરતમાં ૨૭ બેઠકો જીતી લીધી છે. આ ૨૭ બેઠકો એવી છે કે જ્યાં પાટીદારોની વસ્તી વધારે છે.

           પરંતુ પાસ દ્વારા કરવામાં આવેલી પાસની અવગણના વિવાદનો મુદ્દો બન્યો છે. ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે જે રીતે હાર્દિક પટેલ દ્વારા રાજકીય પાર્ટીમાં જોડાયા પછી રંગ બદલ્યો હતો તે જ રીતે આપ દ્વારા રંગ બદલવામાં આવી રહ્યો છે. આપે જીતેલી તમામ બેઠકો માટે પાસનો સાથ મહત્વનો મનાય છે ત્યારે હવે જાહેરમાં આપ દ્વારા તેનો સ્વીકાર ના કરાતા પાટીદારોને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે.

       નોંધનીય છે કે અગાઉ જ્યારે કોંગ્રેસને પાસનો સાથ મળ્યો હતો ત્યારે કોંગ્રેસને ચૂંટણીમાં બેઠકો જીતવામાં સફળતા મળી હતી અને અહીં ભાજપ સામે આક્રામક વિરોધ નોંધાયો હતો. આપે મેળવેલી જ્વલંત સફળતા બાદ અહીં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવાલ પૂછવામાં આવ્યો કે, વર્ષ ૨૦૧૫માં પાસે કોંગ્રેસને સાથ આપ્યો હતો જ્યારે આ વખતે આપને સાથ આપ્યો છે તો આ ફેક્ટર કામ કર્યું હોય એમ લાગે છે? આ સવાલના જવાબમાં પાટીદારો અને પાસના સાથીઓ જે જવાબની આશા રાખીને બેઠા હતા તેનાથી તેમને ઉલ્ટું સાંભળવા મળ્યું, ગુજરાતમાં તમામ સમાજ વર્ગ અને સામાજિક સંસ્થાઓએ આપને આશાથી જોઈ છે. કોંગ્રેસ અને ભાજપના આંતરિક રાજકારણના લીધે લોકો આપ તરફ આકર્ષાયા છે. આ સુરતની પ્રજાની જીત છે. તમામ ધર્મના લોકોની જીત છે. આ પછી જ્યારે એવું પૂછવામાં આવ્યું કે પાટીદારો હાર્દિક પટેલથી દૂર થઈ રહ્યા હોય તેવું લાગે છે? આ સવાલના જવાબમાં આપના નેતા ગોપાલ ઈટાલીયાએ જવાબ આપવાનું ટાળ્યું અને તેમણે માત્ર આમ આદમી પાર્ટીની જ વાત કરી હોવાનું જણાવ્યું છે.

(9:29 pm IST)