ગુજરાત
News of Tuesday, 25th January 2022

હેલી પંડ્યાનું અંગ્રેજી પુસ્તક હ્યુમન્સ આર વિઅર્ડ લોન્ચ

બહુમુખી પ્રતિભા ધરાવતી યુવતીનો સ્તુત્ય પ્રયાસ : અભિનયની સાથે લેખનમાં કાઢું કાઢતી ૨૦ વર્ષીય યુવતી હેલી પંડ્યાનું પ્રથમ અંગ્રેજી પુસ્તક લોન્ચ થયું

અમદાવાદ , તા.૨૫ : જીવનના બે દાયકાની અત્યાર સુધી વ્યતિત થયેલી જીંદગીને સમજવાની મથામણ એટલે હ્યુમન્સ આર વિઅર્ડ. બહુમુખી પ્રતિભા ધરાવતી ૨૦ વર્ષિય હેલી પંડ્યાએ સમાજમાં  દિનપ્રતિદિન માનસિક અને સામાજીક સંઘર્ષને શબ્દાંકિત કરવાનો એક ભગીરથ પ્રયાસ પુસ્તક સ્વરૂપે રજૂ કર્યો છે. બે ગુજરાતી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરીને , સામાજિક સંદેશ આપાતા પચાસ જેટલાં શેરી નાટકો કરીને નામના મેળવનારી આ યુવતિએ હવે માનવ અને જીંદગી અજીબ છે તે દર્શાવતા  પુસ્તકની રચના કરી છે. હેલીએ તેની નાની વયે માનવી અને તેના જીવનમાં ચાલતી જીજીવિષા અંગે ખુબ સુંદર નિરૂપણ કર્યું છે. જે સમાજને ઉપયોગી થશે જ. વ્યતિત કરેલા તેના અત્ચાર સુધીની જીવનની યાત્રા દરમિયાન થયેલા સ્વાનુભવો અને પ્રયોગોને હેલી પંડ્યાએ શબ્દો સ્વરૂપે રજૂ કરીને એક સકારાત્મક વિચારધારાને રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. હેલી પંડ્યાનું આ પ્રથમ પુસ્તક છે. પત્રકાર ક્ષેત્રે કાર્ય કરનારા માતાપિતાના આ સંતાને રોજેરોજની માનવની પ્રવૃત્તિઓ અને તેમના આચાર અને વિચારને આ પુસ્તક સ્વરૂપે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

હેલી પંડ્યાનું  અંગ્રેજીમાં લખાયેલું આ પહેલુ પુસ્તક છે. જેમાં લેખિકાએ અનેક પ્રસંગો અને વિચારોને પણ રજૂ કરીને માનવજીવને અજીબ હોવાની પ્રતિતિ આ પુસ્તક દ્વારા કરવાનો એક સ્તુત્ય પ્રયાસ કર્યો છે. પોતાના માતાપિતાના જીવનના અનુભવો , મિત્રોના વિચારો અને અન્ય પ્રસંગોને વણીને આ પુસ્તકની રચના કરવામાં આવી છે. શાળાકક્ષાએથી જ કંઇક નવું કરવાની તમન્નાને કારણે અને મનોવિજ્ઞાનમાં રસ ધરાવતી આ યુવતિએ સમાજમાં કંઇક નવો ચીલો ચાતરીને સમાજને ઉપયોગી થાય તેવું કાર્ય કરવાની ખેવના રાખી હતી. જે વિચાર બિદું આજે વટવૃક્ષ સ્વરૂપ લઇ રહ્યું છે એને તે વટવૃક્ષની પ્રશાખા એટલે હ્યુમન્સ આર વિઅર્ડ, લાઇફ ઇઝ વિઅર્ડ.

ગુજરાતી લેખકો દ્વારા અંગ્રેજી સાહિત્યનું જૂજ સર્જન થઇ રહ્યું છે ત્યારે આ પુસ્તક અંગ્રેજી સાહિત્ય માટે એક નવો રાહ ચિંધશે તેવી પણ આશા રાખવામાં આવી રહી છે. આજે કોરોનાના કપરાકાળમાં ચારેતરફ નકારાત્મકતા ભરી પડી છે ત્યારે સકારાત્મક રાહ ચિંધવાની આવશ્યકતા છે. આ પુસ્તક પણ હકારાત્મક વિચારોને પ્રેરવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે. આ પુસ્તક હકારાત્મક વિચારોને રજૂ કરીને એક અનેરો માહોલ ઊભો કરવાનું સાધન બની રહે તેમ છે તો આવા વિચારનો પ્રસરાવવા માટે પુસ્તક એકબીજાને ભેટ આપવા માટે પણ ઉત્તમ બની રહે છે જેથી સકારાત્મક વિચારધારને પ્રસરાવી શકાય, જે આ સમયમાં તાતી જરૂરીયાત છે.

(8:58 pm IST)