ગુજરાત
News of Monday, 25th January 2021

નિકાહે નિકાહે નઠારો તે આનુ નામ

અભી તો મે જવાન હું: ૬૩ વર્ષના કાકાને હવે ૭માં લગ્ન કરવાનાં અભરખાં

છઠ્ઠી પત્નિ તેમનાથી ૨૧ વર્ષ નાની છે

સુરત, તા.૨૫: હૃદયરોગની તકલીફ હોય કે ડાયાબિટિઝ ૬૩ વર્ષના આ કાકાને તેની સામે કોઈ વાંધો જ નથી તેમના મતે સમસ્યા એક જ છે કે તેમની છઠ્ઠી પત્ની જે તેમનાથી ૨૧ વર્ષ નાની છે તે રાત્રે બેડરુમ શેર કરવાની ના પાડે છે. જોકે કાકાએ તેનો પણ રસ્તો શોધી લીધો છે તેઓ હવે સાતમા લગ્ન કરવા માટે તૈયારી કરી રહ્યા છે. ગત સપ્ટેમ્બરની વાત છે જયારે ભારતમાં કોરોના વાયરસની મહામારી તેના સૌથી વધુ વિકરાળ સ્વરુપે હાહાકાર મચાવતી હતી ત્યારે સુરત જિલ્લાના કપલેઠા ગામના અયુબ ડેગિયાએ પોતાનાથી ૨૧ વર્ષ નાની પોતાની દીકરી જેવડી ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા હતા જોકે હવે આ લગ્નના પાંચ-છ મહિનામાં જ ૭માં લગ્ન કરવા માટે છોકરી શોધી રહ્યા છે.

સુરતના કપલેઠા ગામમાં અયુબની ગણના પૈસાદાર ખેડૂતમાં થાય છે. ગત સપ્ટેમ્બર ૨૦૨૦માં તેમણે નાની ઉંમરની મહિલા સાથે લગ્ન તો કર્યા પરંતુ કોઈ કારણસર મહિલાએ અયુબ સાથે શારીરિક સંબંધો બાંધવાથી ઇનકાર કરી દીધો હતો. જે બાદ ડિસેમ્બર ૨૦૨૦માં તેઓ અલગ થઈ ગયા હતા.

ડેગિયાએ કહ્યું કે 'લગ્ન પછી તે મને પોતાની સાથે સુવા નહોતી દેતી તે સતત ઇન્ફેકશનની ફરિયાદ કરતી રહેતી હતી. મને હૃદયરોગ, ડાયાબિટિઝ અને બીજી બીમારીઓ છે મને એવી પત્નીની તલાશ છે જે મારી સાથે સંબંધ બાંધીને મારું ધ્યાન રાખી શકે.'

ડેગિયાની પહેલી પત્ની પણ હજુ જીવિત છે અને તે જ ગામમાં પોતાના પાંચ બાળકો સાથે રહે છે. આ બાળકોની ઉંમર ૨૦ થી ૩૫ વર્ષની આસપાસ છે. ૪૨ વર્ષની રાંદેરની મહિલાને જયારે ડેગિયા સાથે ફાવ્યુ નહીં તો તેણે તેના ઇતિહાસ વિશે તપાસ કરવાનું શરું કર્યું ત્યારે જાણીને આંચકો લાગ્યો કે પોતે ડેગિયાની છઠ્ઠા નંબરની પત્ની છે. જે બાદ તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં ડેગિયા વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી. પોલીસે IPCની કલમ ૪૯૮-એ હેઠળ ગુનો નોંધ્યો છે.

છઠ્ઠા નંબરની મહિલાનો આરોપ છે કે મારી સાથે લગ્ન કરતા પહેલા તેણે પાંચ મહિલા સાથે લગ્ન કર્યા હતા જોકે તેણે મને કયારેય આ બાબતે જાણ કરી નહોતી. મારી સાથે છેતરપિંડી કર્યા પછી હવે તે બીજી એક મહિલા સાથે સંસાર માંડી રહ્યો છે જયારે તેની પહેલી પત્ની પણ હજુ જીવિત છે. મને ગામવાળા પાસેથી પણ જાણવા મળ્યું કે તે કોઈપણ મહિલા સાથે થોડા સમય માટે સંબંધ રાખે છે પછી દૂધમાંથી માખી કાઢે તેમ મહિલાના ઉપયોગ પછી તેને છોડી દે છે.

મહિલાના વકીલ ચંદ્રેશ જોબનપુત્રાએ કહ્યું કે ડિસેમ્બરમાં ડેગિયા મહિલાને રાંદેરમાં તેની બહેનને ત્યાં મૂકી ગયો અને કહ્યું કે પોતે ગામની બહાર જતો હોવાથી તે મહિલાને મૂકી જાય છે અને ફરી આવ્યા પછી લઈ જશે પરંતુ ડેગિયા ફરી કયારેય આવ્યો જ નહીં. વકીલે વધુમાં કહ્યું કે ડેગિયાએ શરુઆતમાં તેના પરિવારનો સંપર્ક કરીને કહ્યું હતું કે મહિલા વિધવા હોવાથી તેને મદદ કરવા માટે પોતે લગ્ન કરવા માગે છે. તેણે કહ્યું કે તેમના ધર્મમાં આ પ્રકારે લગ્નની મંજૂરી આપવામાં આવી છે. તેમજ લગ્ન કર્યા બાદ તે મહિલાને ૨ લાખ રુપિયાની જવેલરી અને ઘર પણ અપાવશે પરંતુ દરેક વાયદાથી તે ફરી ગયો હતો.

જયારે ડેગિયાને પૂછવામાં આવ્યું કે શા માટે તે પોતાના પાછલા પાંચ લગ્ન જીવનમાંથી અલગ થયો તો તેના અંગે તે યોગ્ય રીતે જવાબ આપી શકયો નહીં.

બીજી તરફ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસર અસ્મિતા પારગીએ કહ્યું કે, ડેગિયાએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે તે મહિલા સાથે રહેવા નથી માગતો કારણ કે મહિલા લગ્ન જીવનનો એક ભાગ તેવી તેની શારીરિક જરુરિયાતોને પૂર્ણ કરવામાં અક્ષમ છે. આ ફરિયાદ મામલે તમામ પક્ષોના નિવેદન લીધા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(3:23 pm IST)