ગુજરાત
News of Wednesday, 24th October 2018

વડગામને અછતગ્રસ્ત જાહેર નહીં કરાતાં મેવાણી લાલઘૂમ

વડગામને અછતગ્રસ્ત જાહેર કરવા મેવાણીની માંગઃ સરકાર દ્વારા વડગામને અછતગ્રસ્ત જાહેર ન કરાય તો તે વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આંદોલન કરવાની ચીમકી

અમદાવાદ, તા.૨૪: બે દિવસ પહેલાં તા.૨૨મી ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારે અછતગ્રસ્ત તાલુકાઓની યાદી તાલુકાઓના અછતગ્રસ્ત ગામડાંઓની સંખ્યા સહિત જાહેર કર્યા હતા. જેમાં ઘણાં અછતગ્રસ્ત તાલુકાઓ અને વિસ્તારોઓને ૨૦૧૯ લોકસભાની ચૂંટણીના પગલે બાકાત રાખ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો હતો ત્યારે આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાના મતવિસ્તારના એરિયાને અછતગ્રસ્ત જાહેર નહી કરાતાં ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને સરકાર સામે ઓરમાયા વર્તનનો ગંભીર આરોપ લગાવ્યો હતો. દલિત યુવા નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અગાઉ કચ્છ-બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લાના તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે અને હમણાં જુદા-જુદા અન્ય પ૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા. જેમાં સરકારે બનાસકાંઠા જીલ્લાના બીજા તાલુકાઓને પણ અછતગ્રસ્ત જાહેર કર્યા પરંતુ એનો જરાય વાંધો નથી. પરંતુ બનાસકાંઠાના જ અછત પીડિત વડગામ તાલુકાને બાકાત રાખવાનું કારણ શું? ગામ કે વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવા માટે કલેક્ટર દ્વારા ચકાસણી કરવી જોઈએ. સરકારે વડગામ તાલુકાનાં કેટલાં ગામોમાં ક્યારે આનાવારી કરી અને કયા ગામની કેટલી આનાવારી થઇ તેની વિગતો જાહેર કરે. મેવાણીએ જણાવ્યું કે, સરકાર જાહેર કરે કે વડગામ તાલુકાનાં કેટલાં ગામોમાં વરસાદ માપક યંત્ર, આનાવારી, દુષ્કાળ મેન્યુઅલનો અમલ શા માટે નથી કરતી અને પાસે જો ઉપરોક્ત વિગતો ના હોય, માત્ર અને માત્ર રાજકીય વલણો અનુસાર દુષ્કાળ જાહેર ન કરે. ધારાસભ્ય તરીકે મારા વડગામ વિસ્તારનાં ગામડાંની સ્થિતિ નરી આંખે જાઈ શકાય છે. અહીંના ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે, પશુઓ માટે ઘાસચારાની તંગી છે. ખેતીને પુરક એવો પશુપાલન ઉદ્યોગ આ વિસ્તારમાં ખૂબ વ્યાપક છે તેવા સંજાગોમાં સરકાર પાસે મારી સ્પષ્ટ માગણી છે કે, વડગામ વિસ્તારને તરત જ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે, તાત્કાલિક દરેક ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવે, પશુઓ માટે તાત્કાલિક ઘાસ વિતરણ શરૂ કરવામાં આવે, દુષ્કાળને કારણે બેરોજગાર થયેલાં ખેતમજૂર પરિવારો માટે મનરેગા અને બીજાં જળસંચયનાં રાહત કામો શરૂ કરવામાં આવે. મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર તાત્કાલિક વડગામ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી જરૂરી પગલાં નહીં ભરે તો જનતાના જવાબદાર પ્રતિનિધિ તરીકે મારે આંદોલનાત્મક પગલાં ભરવાં પડશે જેમાં હું જરાય પાછી પાની નહીં કરું, ખેડૂતોને સાથે લઇને આંદોલન કરીશ અને જરૂર પડે ધરણા પણ કરીશ. હું ખેડૂતો માટે આંદોલન કરતાં સહેજપણ અચકાઇશ નહી.

(10:28 pm IST)