વડોદરાના વાઘોડિયા રોડ પર અગાઉના ઝઘડાની અદાવત રાખી પાડોશી પર પિતા-પુત્રએ જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ
વડોદરા: વાઘોડિયા રોડ ઉપર આવેલ બાપોદ ગામ ખાતે અગાઉના ઝઘડાની અદાવત રાખી પાડોશીઓ વચ્ચે થયેલી તકરારમાં પિતા પુત્રની ત્રિપુટીએ તિક્ષણ હથિયારના ઘા મારી લાકડી વડે હુમલો કરતા યુવકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. ફરિયાદના આધારે બાપોદ પોલીસે પિતા પુત્રની ત્રિપુટી વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ સંબંધીની ખબર કાઢવા માટે રોકાયેલા મૃતકના ભાઈ પ્રવીણભાઈ વાલાભાઈ ભરવાડ ઘટનાની જાણ થતા વડોદરા દોડી આવ્યા હતા. અને બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી કે, પાડોશી લાલા ખોડાભાઈ ભરવાડ સાથે મારા મોટાભાઈ જગદીશ વચ્ચે અગાઉ અમારા ઘરે નહિ આવવા બાબતે ઝઘડો થયો હતો . ત્યારબાદ પણ આ બાબતે અવારનવાર બોલાચાલી થતી હતી. દરમિયાન ગઈકાલે રાત્રે મારી બહેને ફોન કરી જણાવ્યું હતું કે જગદીશભાઈનો પાડોશી ખોડાભાઈ તથા તેના દીકરા લાલા ખોડાભાઈ ભરવાડ અને દિનેશ ખોડાભાઈ ભરવાડ ( તમામ રહે - ભરવાડ વાસ, બાપોદ ગામ, વાઘોડિયા રોડ ) સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન હુમલાખોરોએ લાકડી અને તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા જગદીશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ અગાઉ મૃતક જગદીશભાઈના છૂટાછેડા થયા હતા.