કર્મચારીઓ માટે જુથ વીમા યોજના હેઠળ કપાત રકમ, વીમા રક્ષણ રકમમાં વધારો
માસિક રૂા. ૪૦૦ના બદલે રૂા.૧૬૦૦ કપાત અને વીમા રક્ષણ ર૦ લાખ
ગાંધીનગર તા. ર૪ : રાજય સરકારના કર્મચારીઓને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં વીમા રક્ષણનો લાભ મળે તથા નિવૃત્તિ સમયે એકત્રિત બચતનો લાભ મળે તેવા આશયથી વંચાણે લીધે ક્રમાંક (૧) સામે દર્શાવેલ તા.૧૦/૧૧/૧૯૮૧ ના ઠરાવથી રાજય સરકારના કર્મચારીઓ માટે તા.૧/૪/૧૯૮ર જુથવીમાં યોજના લાગુ પાડવામાં આવેલ હતી. આ યોજનામાં વિવિધ પગાર ધોરણ અનુસાર જુથ ક, ખ, ગ અને ઘ નકકી કરી જુથ અનુસાર અનુક્રમે રૂા. ૮૦, રૂા.૪૦, રૂા. ર૦ અને રૂા. ૧૦ નો ફાળો કાપી તેને અનુરૂપ વીમા રક્ષણ આપવાનું નિયત કરવામાં આવેલ હતું.
રાજય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવતા પગારમાં થયેલ વધારાને ધ્યાને લેતા કર્મચારીઓને વધુ વીમા રક્ષણ તથા નિવૃત્તિ સમયે વધુ એકત્રિત બચતનો લાભ મળી રહે તેવા આશયથી સભ્યોને આપવાના થતા ફાળામાં વધારો કરવાની બાબત સરકારીની વિચારણા હેઠળ હતી.
આજે ર૪ સપ્ટેમ્બરે નાણા વિભાગના નાયબ સચિવ દીપલ હડિયલની સહીથી બહાર પડેલ પરિપત્રમાં જણાવાયું છે. તા.૧/૧૦/ર૦રર થી રાજય સરકારના કર્મચારીઓ માટેની જુથવીમા યોજના હેઠળ સભ્યોનો ફાળો માસિક રૂા.ર૦૦ ના એકમમાં રહેશે. તેમજ વીમા રક્ષણની રકમ પ્રત્યેક એકમના ફાળા માટે રૂા. ર,પ૦,૦૦૦ રહેશે. તદ્દનુસાર યોજનાના સભ્યોના પગારમાંથી ફાળાની કપાતની રકમ તથા વીમા રક્ષણની રકમ નિયત રહેશે.
રાજય સરકારની સેવામાં જોડાયેલ તમામ નિયમિત કર્મચારીઓ માટે ઉકત દર મુજબની કપાત ફરજીયાત રહેશે. આ યોજના હેઠળ તમામ કર્મચારીઓની કપાત તા.૧/૧૦/ર૦રર થી થાય તે જોવાની જવાબદારી જે તે વિભાગ/ ખાતા / કચેરીના વડાની રહેશે.