News of Tuesday, 24th September 2019
નર્મદા ડેમની જળસપાટી 138.27 મીટરે સ્થિર : 20 દિવસ બાદ ગોરા બ્રિજ રાહદારીઓ માટે શરૂ
ડેમના 15 દરવાજા હાલ ખુલ્લા: 1,20 લાખ ક્યુસેક પાણી નદીમાં વહેતુ
નર્મદા: સરદાર સરોવર ડેમની સપાટી સ્થિર થઇ છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.27 મીટર છે. સરદાર સરોવર ડેમના 15 દરવાજા હાલ ખુલ્લા છે, જેમાંથી 1 લાખ 20 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે. 20 દિવસ બાદ કેવડિયાનો ગોરા બ્રિજ પરથી પાણી ઓસરતા રાહદારીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે.
સરદાર સરોવર ડેમ માં થોડા સમયથી પાણીની આવક સામે જાવક વધારીને આ સપાટી નર્મદા ડેમની સુરક્ષા માટે જાળવી રાખવામાં આવી છે. નર્મદા નદીનાં પાણી કાંઠાનાં ગામોમાંથી ઓસરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. કાંઠા વિસ્તારનાં 175 ગામોમાંથી જળસંકટ પણ ટળ્યું છે.
કેવડિયાનો ગોરા બ્રિજ 20 દિવસ પછી રાહદારીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે. તેના પર પાણી ફરી વળતા તેને બંધ કરી દેવામાં આવ્યો હતો.
(12:55 am IST)