અમદાવાદમાં આવતીકાલે તા.૨૫મી સપ્ટેમ્બરના રોજ શહેરના એસ.જી હાઇવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વર્લ્ડ ફાર્માસીસ્ટ ડેની અનોખી ઉજવણી : દર્દીઓ આરોગ્યવિષયક જરૂરી માર્ગદર્શન અપાશે
અમદાવાદ, તા.૨૪ : આવતીકાલે તા.૨૫મી સપ્ટેમ્બરના રોજ શહેરના એસ.જી હાઇવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વર્લ્ડ ફાર્માસીસ્ટ ડેની અનોખી ઉજવણી કરવામાં આવશે. વર્લ્ડ ફાર્માસીસ્ટ ડેની ઉજવણી દરમ્યાન ગુજરાત ફાર્માસીસ્ટ ફેડરેશન અને મંડળના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ ખાસ હાજર રહેશે, તો, રાજયના તબીબી સેવાઓના અધિક નિયામક ડો.એચ.કે.ભાવસાર, આઇએએસ ઓફિસર ડો.જી.એચ.ખાન, વિભાગીય નાયબ નિયામક જી.સી.પટેલ, જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ડીન નીતિન વોરા, સિવિલ સર્જન આર.એમ. જીટીયા, સોલા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ફાર્માસીસ્ટ ચિરાગ સોલંકી સહિતના મહાનુભાવો પણ હાજરી આપશે. સોલા સિવિલ હોસ્પિટલમાં આવતીકાલે વર્લ્ડ ફાર્માસીસ્ટ ડેની ઉજવણી દરમ્યાન નિષ્ણાત મહાનુભાવો, તબીબો અને ફાર્માસીસ્ટ્સ દ્વારા દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓને દવા કેવી રીતે લેવી, એન્ટીબાયોટીક દવા આડેધડ નહી લેવી, દવા પ્રમાણસર અને પધ્ધતિસર કેવી રીતે લઇ શકાય સહિતની આરોગ્ય વિષયક જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવશે. દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓને કોઇ પ્રશ્નો કે દ્વિધા હશે તો આવતીકાલના પ્રસંગ દરમ્યાન નિષ્ણાત તબીબો કે મહાનુભાવો દ્વારા તેનું પણ નિરાકરણ કરવામાં આવશે એમ સોલા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ફાર્માસીસ્ટ ચિરાગ સોલંકીએ ઉમેર્યું હતું.