વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં એડમિશન આપવાના બહાને છેતરપિંડી આચરવાના આરોપમાં પકડાયેલ ડોકટરના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો: મુખ્ય સૂત્રધારને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી
વડોદરા: શહેરમાં સુમનદીપ વિદ્યાપીઠમાં એમ.બી.બી.એ.માં એડમિશન અપાવવાના બહાને છેતરપિંડીના કેસમાં પકડાયેલા ડોકટરનો રિમાન્ડ પૂરો થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જો કે મુખ્ય સૂત્રધાર હજી પકડાયો નથી.
આ અંગેની વિગત એવી છે કે, રાજપીપળા નર્સિંગ સ્કુલમાં પ્રિન્સીપાલ તરીકે નોકરી કરતા સુખમણીબેન વસાવાની પુત્રીને સુમનદીપ વિદ્યાપીઠમાં એડમિશન અપાવવાના બહાને ૧૬ લાખ રૃપિયા પડાવી લઇને આરોપી હિતેશ ઠાકરે ખોટી ફી રિસિપ્ટ અને ખોટો એડમિશન લેટર આપ્યા હતા. હિતેશ ઠાકરની ઓળખાણ સુખમણીબેનને કરાવનાર ડો. વિનય હરિવદનભાઇ પટેલ (રહે. વલ્લભ કોમ્પલેક્ષ તરસાલી)ની રાવપુરા પોલીસે ધરપકડ કરી કોર્ટમાંથી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો. રિમાન્ડ દરમિયાન ડો. વિનય પટેલે પોલીસને કહ્યું હતું કે વર્ષ ૨૦૦૭માં તેમના સંબંધીની પુત્રીનું એડમિશન હિતેશ ઠાકર મારફતે સુમનદીપ વિદ્યાપીઠમાં થયુ હતું. જેથી તેના પર વિશ્વાસ રાખીને પોતે હિતેશ ઠાકોરનો રેફરન્સ સુખમણીબેનને આપ્યો હતો. પોતે આ રકમમાંથી એકપણ રૃપિયો લીધો નથી. આજે ડોકટરના રિમાન્ડ પૂરા થતા તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.