નંદ ઘેર આનંદ ભયો.....જઈ કનૈયા લાલકી......ઉત્તર ગુજરાતના જુદા-જુદા ગામડાઓમાં મધ્ય રાત્રીએ ધામધૂમથી ઉજવાશે જન્માષ્ટમીનો તહેવાર: કરશે કાનુડાના જન્મની વધામણી
મહેસાણા:ઉત્તર ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં આજે જન્માષ્ટમીનુ પર્વ ધામધૂમથી ઉજવાશે. જેમાં મધરાતે કૃષ્ણ જન્મની ઠેરઠેર વધામણી થશે અને નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી હાથીઘોડા પાલખીના નાદ ગુંજી ઉઠશે. તેમજ ઠેરઠેર પરંપરાગત લોકમેળા પણ ભરાશે. જેમાં શહેરની તથા ઉત્સવપ્રિય પ્રજા ઉમટી પડશે.
મહેસાણા શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે સવાર-સાંજ બે મેળા પરંપરાગત મુજબ ભરાય છે. જેમાં મહેસાણા અંબાજી પરા રામજી મંદિર પાસે વહેલી સવારથી જ લોકો મેળામાં ઉમટી પડે છે. મેળામાં વિવિધ પ્રકારના રમકડાના સ્ટોલ, ચગડોળ તેમજ વિવિધ અવનવી વેરાયટીથી ખરીદી કરી મેળાનો આનંદ લોકો મેળવશે. તેમજ સાંજના સુમારે કૃષ્ણના ઢાળે ગોવિંદ માધવ મંદિરે ભવ્ય મેળો ભરાશે. શહેરની તથા આજુબાજુના ગામોની પ્રજા મેળામાં ઉમટી પડશે. વડનગર ગૌરીકુંટ ખાતે સાંજના સુમારે મેળો ભરાય છે. જેમાં આજુબાજુના ગામોની પ્રજા ઉમટે છે. ખેરાલુના વૃંદાવન ચોકડી પર આવેલ વૃંદાવન મહાદેવ મંદિરે વહેલી સવારથી જ લોકો મેળો મ્હાલવા ઉમટી પડે છે. પાલનપુર અને પાટણમાં વિવિધ સ્થળોએ મેળા ભરાશે.