ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને કોંગ્રેસ એક્શન મોડમાં : રાજ્યના શહેર-જિલ્લાના 12 પ્રમુખની વરણી
પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રામ ઓડેદરા : ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહ વાઘેલા : કચ્છ પ્રમુખ તરીકે યજુવેન્દ્રસિંહ જાડેજા, ભાવનગરમાં પ્રકાસ વાઘાણીને જવાબદારી
અમદાવાદ : વિધાનસભાની ચૂંટણીના આગમનને લઈને રાજ્યમાં રાજકીય ગતિવિધિઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણી મામલે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો કોઇ પણ કસર છોડવા માંગતા નથી. જેને લઈને રાજ્યમાં બેઠક, નિમણૂક, પક્ષ પલ્ટા, જાહેરાત સહિતની કામગીરીઓનો બરોબરનો દોર જામ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાત કોંગ્રેસ દ્વારા શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર સહિત રાજ્યના 12 શહેર-જિલ્લાના પ્રમુખની નિમણૂક કરાઇ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષઓ તેમજ કાર્યકારી અધ્યક્ષઓની જાહેર કરાયેલી યાદી મુજબ ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહ વાઘેલા અને સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે સુરેશ પટેલ તથા સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મનહર પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત શહેર કોંગ્રેસમાં 4 કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ફિરોઝ મલેક, ભૂપેન્દ્ર સોલંકી અને અશોક પિપ્પલે તથા દિપક નાયકનો સમાવાશે થાય છે.
પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રામ ઓડેદરાના નામ પર ઉચ્ચકક્ષાએથી મહોર લગાવવામાં આવી છે અને મહેસાણા કોંગ્રેસ પ્રમુખ તરીકે રણજીત ઠાકોર તથા વલસાડ જિલ્લા પ્રમુખનો ચાર્જ દિનેશ પટેલના શિરે મુકવામાં આવ્યો છે. વધુમાં કચ્છ પ્રમુખનો તાજ યજુવેન્દ્રસિંહ જાડેજા, ભાવનગરમાં પ્રકાસ વાઘાણી અને ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે પરિમલસિંહ રાણા તથા ભરૂચ શહેર પ્રમુખ તરીકે તેજપ્રતાપસિંહ ઉપરાંત અરવલ્લીમાં કમલેન્દ્રસિહ પવારની વરણી કરવામાં આવી છે.