ખેડા તાલુકાના બીડજના ઠાકોરવાસમાં સગીરાને ભગાડી લઇ જઈ દુષ્કર્મ આચરનાર નરાધમને અદાલતે દસ વર્ષની કેદની સજાની સુનવણી કરી
ખેડા:તાલુકાના બીડજના ઠાકોરવાસમાં રહેતા ગોપાલભાઇ વનાભાઇ ઠાકોર ગત તા.૧૭-૦૯-૨૦૧૭ ના રોજ એક સગીરવયની દિકરીને ભગાડી ગયો હતો. દિકરીને લલચાવી, ફોસલાવી ભગાડી ગયા હતા. વળી સગીરાની ઇચ્છા વિના બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે સગીરાના પરિવારજનોએ ખેડા પોલીસ મથકે ગોપાલભાઇ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આજ રોજ આ કેસ નડિયાદ સેસન્સ કોર્ટ ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલ રાહુલ ડી.બ્રહ્મભટ્ટે ઉગ્ર દલીલો કરી હતી. તેમ જ સમાજમાં સગીર વયની દિકરીઓ ઉપર થતા બળાત્કારના ગુનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. જે દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી વિવિધ કલમો અને દંડ ફટકાર્યો છે.
નડિયાદ કોર્ટે આરોપી ગોપાલભાઇ વનાભાઇ ઠાકોરને તકસીરવાન ઠેરવી ઇ.પી.કો કલમ ૩૬૩ના ગુનામાં ૩ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૫૦૦ નો દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજા, ઇ. પી. કો કલમ ૩૬૬ ના ગુનામાં ૫ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧,૦૦૦ નો દંડ, દંડ ન ભરે તો વધુ ૨ માસની સાદી કેદની સજા, ઇ. પી. કો કલમ ૩૭૬(૨)(એન) ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૫,૦૦૦ નો દંડ,દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા,પોક્સો એકટની કલમ ૩(એ) હેઠળના કૃત્ય બદલ કલમ ૪ ના સજાપાત્ર ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૫,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.