બોરસદ-ખંભાત તાલુકાના 35થી વધુ ગામોને જોડતા ધુવારણ માર્ગ નજીક ઓવરબ્રિજની કામગીરી અટકી જતા લોકોને અવરજવર કરવામાં હાલાકી
બોરસદ: અને ખંભાત તાલુકાના ગામોને જોડતા ધુવારણ માર્ગ ઉપર વડેલી ગામ પાસે રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા પાંચ માસથી આ કામગીરી ખોરંભે પડી હોવાથી આ માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સાથે સાથે આસપાસના ગામડાઓના રહીશોને પણ અત્રેથી અવર-જવર કરવામાં પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે રેલ્વે ઓવરબ્રીજના કામકાજ દરમ્યાન આ માર્ગની આસપાસ કરવામાં આવેલ ખોદકામને કારણે માર્ગ બિસ્માર બન્યો હોવાથી છે. તેમજ કરાયેલ આ ખોદકામને કારણે અકસ્માતની દહેશત વાહનચાલકોને સતાવી રહી છે. જાણવા જેવી બાબત એ છે કે આ માર્ગ ઉપર ઓવરબ્રીજના કામકાજને લઈ કરાયેલ ખોદકામ બાબતે કોઈ જાણકારી કે સાવચેતી રાખવાની દરકાર કરવામાં આવી નથી. જેથી આ માર્ગ પરથી પસાર થઈ રહેલા નાગરિકો સહિત વાહનચાલકોને જોખમી પરિસ્થિતિનો અનુભવની સાથે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
હાલ ચોમાસાની સીઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે ૩૫ કરતા વધુ ગામોમાં અવર-જવર માટે ખુબ મહત્વના ગણાતા બોરસદ-ધુવારણ રોડ ઉપર ઓવરબ્રીજની કામગીરી ખોરંભે પડતા ખોદકામ કરાયેલ સ્થળે વરસાદી પાણી ભરાવવાના કારણે પાણીની સપાટી બાબતે ખ્યાલ ન આવતા વાહનચાલકોને માથે અકસ્માતનું સંકટ તોળાઈ રહ્યું છે.