ગુજરાત
News of Monday, 24th June 2019

વડગામના નાંદોત્રામાં ખેતર માલિકની પુત્રીના હત્યારાનું મકાન સળગાવવામાં આવતાં ચકચાર

ભાગીયાએ ખેતર માલિકની પુત્રી પર કુદ્રષ્ટિ રાખી :તાબે નહિ થતા ચપ્પાના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી :આરોપી ઝડપાયા બાદ ખારોડી ગામે ત્રણ મકાનો સળગાવાયાં

વડગામ તાલુકાના નાંદોત્રા ગામે ખેતરમાં રાખેલા ભાગીયાએ કુ-દ્રષ્ટિ રાખી ખેતર માલિકની પુત્રીની ચપ્પાના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ગણત્રીના કલાકોમાં હત્યારા શખ્સને ઝડપી લીધો હતો. દરમિયાન આ આરોપીના ખરોડીયા ગામે આવેલા ત્રણ મકાનને કોઇ અજાણ્યા શખ્સોએ સળગાવતાં ચકચાર મચી જવા પામી. છે.

  આ અંગેની વિગત મુજબ નાંદોત્રા ગામના ખેડૂત મોઘજીભાઇ વીરસંગભાઇ ચૌધરીએ તેમના ખેતરમાં કામ કરવા માટે ખરોડીયા ગામના રાહુલ દશરથભાઈ ભરથરીને ભાગીયા તરીકે રાખ્યો હતો. જે મોઘજીભાઇની દીકરી મેઘના ઉપર કુદ્રષ્ટિ રાખતો હતો. આ શખ્સે એક તરફી પ્રેમમાં તાજેતરમાં મેઘનાના ગળાના ભાગે ઘા મારી નિર્મમ હત્યા કરી હતી.

   આ અંગે મોઘજીભાઇ વીરસંગભાઈ ભટોળે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણત્રીના કલાકોમાં જ હત્યારા નરાધમને ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. દરમિયાન હત્યારાને ફાંસીની સજા આપવા માટેની માંગ વચ્ચે ખરોડીયા ગામે આવેલા તેના પરિવારના ત્રણ મકાનને અજાણ્યા શખ્સોએ આગ ચાંપતા ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતુ કે, મકાનોને અંદરના ભાગેથી આગ ચાંપવામાં આવી હતી. જેમાં પડેલી ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી.

(11:08 pm IST)