અમદાવાદ નજીક લાંભા ગામમાં સોસાયટીમાં રમતી વેળાએ વીજ કરંટ લાગતા 10 વર્ષીય બાળકનું કમકમાટી ભર્યું મોત
અમદાવાદ:લાંભા ગામમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટમાં ગઇકાલે રાત્રે વીજ કરટ લાગતા દસ વર્ષનું બાળક મોતને ભેટયું હતું. નારોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વરસાદી પાણીમાં ઇલેકટ્રીક થાંભલા જીવતા વાયરો હતા. જેથી પાણીને અડતાની સાથે બાળક કરંટ લાગતાં બેહોશ થઇ ગયો હતો ઘરે લઇ જતાં ગણતરીના મિનિટોમાં મોતને ભેટયો હતો.
આ કેસની વિગત એવી છે કે લાંભા ગામ ભમ્મરિયા કૂવા પાસે આવલા કર્ણાવતી એપાર્ટમેન્ટ વિભાગ-૧માં રહેતા જયમીન રાકેશભાઇ ભાવાસાર (ઉ.વ.૧૦)નું કરંટ લાગતા મોત થયું હતુ. આ બનાવ અંગે નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેટર આર.એ.જાદવના જણાવ્યા મુજબ સોસાયટીના કોમન પ્લોટમાં ગઇકાલે રાત્રે બાળકો રમતા હતા. જ્યાં ઇલેકટ્રીકના થાંભલા આસપાસ વરસાદનું પાણી ભરાયેલું હતું. આ પાણીમાં જીવતો વીજ વાયર ખુલ્લો હતો જેથી કરંટ પાણીમાં પસાર થયો હતો. બાળક રમતા રમતા પાણીમાં જતાંની સાથે શરીરે કરંટ લાગ્યો હતો.