ગુજરાત
News of Friday, 24th May 2019

સુરતની આગની દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવા ફોરેન્સીક સાયન્સ એક્સપર્ટની મદદ લેવાશે: મુખ્યમંત્રી વિજયભાઈ

મુખ્યમંત્રીએ દુર્ઘટનાની તલસ્પર્શી માહિતી માટે સુરત પહોંચીને નિરીક્ષણ કર્યુ અને વિગતો મેળવી

સુરત :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરતમાં ટ્યુશન ક્લાસમાં લાગેલી આગની દુર્ઘટનાની તલસ્પર્શી માહિતી માટે સુરત પહોંચીને નિરીક્ષણ કર્યુ અને વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીએ આ ઘટનાને પગલે રાજ્યના મોટા શહેરો તથા જિલ્લા મથકો સુધીના કેન્દ્રોમાં આવેલી હોસ્પિટલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ અને આપદા પ્રબંધનના સાધનો વસાવવામાં આવ્યા છે કે કેમ ? તેમજ રાજ્ય સરકારના આદેશોનું પાલન થઇ રહ્યું છે કે કેમ તેની સધન તપાસના આદેશો આપ્યા છે. 

  મુખ્યમંત્રીએ આ તમામ સ્થળોની ફાયર સેફ્ટી, આપદા પ્રબંધન અને ભવિષ્યમાં કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટેની વ્યવસ્થાઓ વ્યાપક પણે ચકાસવા ફાયર નિષ્ણાંતો, માર્ગ-મકાનના કાર્યપાલક ઇજનેર, મ્યુનિસિપાલિટી અને મહાનગર પાલિકાના સંબંધિત અધિકારીઓની ટીમ તાકીદે તપાસ હાથ ધરીને રાજ્યના મુખ્ય સચિવને અહેવાલ આપશે તેમજ મુખ્ય સચિવ જાતે આ વ્યાપક તપાસની દેખરેખ રાખશે તેવી સુચનાઓ પણ આપી છે. 

  મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુરતની આ આગની દુર્ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે  અને આ ઘટનામાં જવાબદાર પરિબળો અને કારણોના મૂળ સુધી પહોંચવા ફોરેન્સીક સાયન્સ એક્સપર્ટની મદદ લેવા માટેના પણ આદેશો કર્યા છે.

(11:40 pm IST)