ગુજરાત
News of Friday, 24th May 2019

હવે અખિલ ભારતીય પરિવાર સપના પૂરા કરવા માટે ઈચ્છુક

અખિલ ભારતીય પરિવાર રાજકારણમાં ઝંપલાવશે સામાન્ય માણસને આર્થિક રીતે સમૃદ્ધ કરી તેની અપેક્ષાઓ પૂર્ણ કરવા અખિલ ભારતીય પરિવાર મેદાનમાં ઝંપલાવશે

અમદાવાદ,તા.૨૪ : દેશની લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે અને ભાજપ તેમ જ મોદી સુનામીએ તમામ રાજકીય પક્ષોના સૂપડા સાફ કરી નાંખ્યા છે અને પોતાની તાકાત અને જાદુનો ફરી એકવાર અક્લ્પનીય પરચો આપ્યો છે ત્યારે આજે રાજયમાં અખિલ ભારતીય પરિવાર સંગઠન દ્વારા દેશના રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાત કરી હતી. આમ આદમીના સપના પૂરા કરવા અને સામાન્ય માણસને આર્થિક રીતે સમૃધ્ધ કરી તેની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે અખિલ ભારતીય પરિવાર અસરકારક કામગીરી કરશે. આગામી દિવસોમાં અખિલ ભારતીય પરિવાર રાજકીય પક્ષ તરીકે પણ રજિસ્ટ્રેશન કરી સામાન્ય જનતા માટે દેશના રાજકારણમાં વધુ એક નવા પક્ષનો વિકલ્પ પૂરો પાડશે એમ અત્રે અખિલ ભારતીય પરિવાર,ગુજરાતના અધ્યક્ષ ધ્રુવ પટેલ, પ્રવકતા ડો.વિજય પટેલ અને ઉપપ્રમુખ રિકિન વ્યાસે જણાવ્યું હતું. લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ અને એનડીએના વિજયી ઉમેદવારોને અભિનંદન અને શુભેચ્છા પાઠવતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અખિલ ભારતીય પરિવારની સ્થાપના ભારતને વિશ્વ ગુરૂ બનાવવાના ઉમદા આશય સાથે થઇ છે. ખાસ કરીને દેશની કુલ વસ્તીમાંથી ૧૦ કરોડ ભારતીયોની આર્થિક સ્થિતિ ૨૦૨૩ સુધીમાં સમૃધ્ધ કરવાનું લક્ષ્યાંક સેવવામાં આવ્યું છે. દેશના નાગરિકોને આર્થિક રીતે સંપન્ન અને સમૃધ્ધ કરવા માટે અખિલ ભારતીય પરિવાર વિશેષ પ્રકારે કામ કરશે અને આ માટે જરૂર પડયે નાગરિકોને તે માટેનું ખાસ પ્રશિક્ષણ અને તાલીમ પણ પૂરી પાડશે. અખિલ ભારતીય પરિવાર,ગુજરાતના અધ્યક્ષ ધ્રુવ પટેલ, પ્રવકતા ડો.વિજય પટેલ અને ઉપપ્રમુખ રિકિન વ્યાસે વધુમાં ઉમેર્યું હતું કે, માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશના ૧૮થી વધુ રાજયોમાં અખિલ ભારતીય પરિવાર તેના હજારો કાર્યકરો અને આગેવાનો મારફતે લોકોની આશાઓ અને અપેક્ષાઓ સંતોષવા હવે કાર્યરત બન્યું છે. ચૂંટાયેલા સાંસદો અને રાજકીય નેતાઓ જો જનતાની આશા પરિપૂર્ણ નહી કરે અથવા તેમને અપાયેલા વાયદાઓનું પાલન નહી થાય તો અખિલ ભારતીય પરિવાર લોકપ્રતિનિધિઓને તેમની ફરજ યાદ અપાવશે અને જનતાના કામો કરવા મજબૂર બનાવશે. અખિલ ભારતીય પરિવાર દ્વારા ગુજરાત સહિત દેશભરમાં આ જાહેરાત કરવામાં આવી રહી છે. અમારું સંગઠન કોઇપણ નાત, જાત કે ધર્મ, સંપ્રદાયના ભેદભાવ વિના એક પરિવારની જેમ કામ કરી રહ્યું છે અને દેશનો કોઇપણ નાગરિક તેમાં પારિવારિક ભાવનાથી જોડાઇ શકે છે. આગામી સમયમાં અખિલ ભારતીય પરિવારનું એક રાજકીય પક્ષ તરીકે વિધિવત્ રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે અને ત્યારબાદ ગુજરાત સહિત દેશભરમાં આમ આદમી માટે ફુલફલેજ કામે લાગી જશે. આજના પ્રસંગે અખિલ ભારતીય પરિવારના ભાવેશ ભારતીય, સૌરભ ત્રિવેદી સહિતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

(9:52 pm IST)