ભ્રષ્ટાચારી અફસરો હવે સરકારના રડારમાં
દાંતીવાડા, વાપી, રાજકોટ અને ગાંધીનગરમાં એસીબીએ રેડ પાડી ૧૬ લાખથી વધુની રકમ જપ્ત કરી
રાજકોટ તા.૨૪ : સરકારના જુદા જુદા વિભાગોમાં ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓ - કર્મચારીઓ વિરુદ્ધ ટૂંક સમયમાં જ મોટુ સર્ચ ઓપરેશન હાથ ધરાશે. જો કે તેના ભાગરૂપે છેલ્લા ૨૪ કલાકમાં જ એન્ટિ કરપ્શન બ્યૂરોએ દાંતીવાડા, વાપી, રાજકોટ અને ગાંધીનગરમાં દરોડા પાડીને ૧૬ લાખથી વધુની રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યુ હતુ કે નિર્દોષ નાગરિકોને કોઇ રંજાડે નહિ તેમજ 'ઝીરો ટોલરન્સ' થી ભ્રષ્ટાચારને નેસ્ત નાબુદ કરવાનુ લક્ષ્ય છે. દાંતાવાડામાં આરએફઓ લાકડાની હેરાફેરીમાં ટ્રેકટર રોકાવીને ૧૨ હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. તેમના ઘરેથી ૧૩.૭૫લાખની રોકડ રોકડ મળી છે.
આ જ રીતે વલસાડ જિલ્લાના વાપી ખાતે ઈન્કમટેક્ષ નિરિક્ષક દ્વારા વડિલોપાર્જિત દાગીનાના વેચાણના સંદર્ભમાં ફરિયાદી પાસેથી ૭૫ હજારની લાંચ માંગતા ઝડપાઇ ગયા હતા. જ્યારે ગાંધીનગરમાં લોકલ ફંડના સબ ઓડિટર ભરત પટેલે પણ ઓડિટમાં પેરા નહી લખવા બાબતે પ્રથમ હપ્તાના ૨૫ હજાર માંગ્યા હતા તેમને પકડી લેવાયા છે.(૨.૨)