કોલવડામાં અમિતભાઇ શાહના હસ્તે ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ : પ્રતિ મિનિટે ૨૮૦ લિટર ઓકિસજનનું થશે ઉત્પાદન
ગાંધીનગર તા. ૨૪ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત મુલાકાતે આવ્યા છે. કન્વેનશન સેન્ટર ખાતે DRDO દ્વારા બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી. દરમિયાન આજે ગાંધીનગર પાસે આવેલા કોલવડામાં આજે ગૃહપ્રધાન શાહે ઓકિસજન પ્લાન્ટનુ ઉદ્દઘાટન કર્યુ હતું.
કોલવડાની કોવિડ હોસ્પિટલમાં ૨૮૦ લિટર પ્રતિ મિનિટની ક્ષમતાનો પ્લાન્ટ તૈયાર કરાયો છે. સીએમ વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થીત રહ્યા હતાં.
અહી એક દિવસમાં ૪૦૦ કયુબીક મીટર ઓકિસઝનનું આ પ્લાન્ટથી ઉત્પાદન થશે. અહી ૬૫થી ૭૦ જંબો સિલિન્ડર ભરાય તેટલી આ પ્લાન્ટની ક્ષમતા છે. અહીની આયુર્વેદિક હોસ્પિટલમાં ૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઓકિસઝનના ૧૦૦ બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમિતભાઈ શાહ કન્વેનશન સેન્ટર પહોંચ્યા ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિ, કે કૈલાશનાથન, AMC ના કમિશનર મુકેશ કુમાર, રાજીવ ગુપ્તા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. શાહે તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.