વડોદરા: અલગ-અલગ લોભામણી સ્કીમ મૂકી લોકોની સાથે છેતરપિંડી આચરનાર આરોપીને ઝડપી પોલીસે કોર્ટમાં રજૂ કર્યા
વડોદરા: શહેરમાં જય ખોડિયાર મિત્ર મંડળ નામની કંપની શરૃ કરીને અલગ-અલગ સ્કીમો મૂકી લોકોને લલચાવી છેતરપિંડી કરવાના ગુનામાં સામેલ આરોપીને સીઆઇડીએ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવ્યાં છે.
આ અંગેની વિગત એવી છે કે આરોપીઓએ લોકોને છેતરવાના ઇરાદે જે.કે. એમ.એન. (જય ખોડિયાર મિત્ર મંડળ) નામની કંપની શરૃ કરી હતી. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ૨૦૫ જેટલી ઓફિસો શરૃ કરીને બે લાખથી વધુ સભ્યો બનાવ્યા હતા. સભ્યો પાસેથી ઉઘરાવેલા રૃપિયામાંથી છ થી આઠ ટકાનું કમિશન એજન્ટને આપવામાં આવતું હતું. આ કૌભાંડ વર્ષ-૨૦૧૩ થી ચાલતુ હતું. જે અંગે સીઆઇડી ક્રાઇમ વડોદરા ઝોનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ગુનામાં સીઆઇડી ક્રાઇમના પીઆઇ વી.સી. પાટણવાડિયાએ આરોપીઓ ૧. રાકેશ રમેશભાઇ બુદ્દલાલ (રહે. ચદ્રભાગા નવા વાડજ તા.જિ. અમદાવાદ મૂળ રહે. મધ્યપ્રદેશ) ૨. જનક જયંતિભાઈ પંચાલ (રહે. જૂના રાણીપ, અમદાવાદ) ૩. કમલેશ કેશવલાલ પંચાલ અને ૪. ભાવેશ વિષ્ણુ પ્રસાદ સાધુ (બંને રહે. રાણીપ અમદાવાદ) ની ધરપકડ કરી હતી.