ગુજરાત
News of Wednesday, 24th April 2019

મતદાન કર્યા બાદ બુથની બહાર નીકળતા મહેસાણા અને ભરૂચમાં ૨ વ્‍યકિતના મોત

અમદાવાદ :ગુજરાતમાં ગઈકાલે 26 બેઠકો પર 63.67 ટકા મતદાન નોંધાયું. 2014ની ચૂંટણી કરતા સહેજ વધારે કહી શકાય તેટલું 2019ની ચૂંટણીમાં મતદાન થયું. જોકે, મતદાતાઓની નિરાશા વખતે પણ સામે આવી હતી, તો બીજી તરફ ગરમીને કારણે પણ અનેક મતદારો ઘરમાં પૂરાઈ રહ્યા હતા, અને વોટ આપવાનું ટાળ્યું હતું. ગઈકાલે બપોરે કાળઝાળ ગરમીમાં મતદાન ઓછું થયું હતું. બપોર સુધીના વોટિંગના આંકડા ઓછા હતા. જ્યાં એક તરફ ગરમીને કારણે લોકો ઘરમાંથી બહાર નીકળ્યા, ત્યાં બીજી તરફ કેટલાક વોટર્સ એવા છે જેમણે પોતાનો કિંમતી વોટ આપ્યા બાદ જીવ ગુમાવ્યો હતો. મહેસાણા અને ભરૂચમાં બે વ્યક્તિઓ વોટિંગ કરીને મતદાન બૂથ બહાર નીકળ્યા હતા, અને તેમનો જીવ ગયો હતો. જોકે, બંને શખ્સોએ છેલ્લા શ્વાસ સુધી મતદાનની ફરજ પૂરી કરી હતી.

મહેસાણામાં મતદાન આપ્યા બાદ એક આધેડનું મોત થયું હતું. 50 વર્ષનાં મહેશભાઈ પરમાર નામના પુરુષ મતદાન કરીને બહાર નીકળ્યા અને અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવતા તેમને તાત્લાકિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ હોસ્પિટલમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મહત્વનું છે કે, મહેશભાઈ પરમાર નગરપાલિકામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતાં હતા.

ભરૂચમાં વયોવૃદ્ધ મતદાર છીતુભાઈનું મતદાન અંતિમ દાન બન્યું. વાગરા તાલુકાના ઓચ્છણ ગામમાં છીતુભાઈ મતદાન કરી ઘરે પરત ફરતા હતા. ત્યારે સ્કૂલ નજીક આવેલા મંદિર પાસે તેઓ એકાએક રસ્તામાં ઢળી પડ્યાં અને અંતિમ શ્વાસ લીધા. ઘટના બાદ તેમના પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું.

(4:44 pm IST)