નરોડા પાટિયા કેસમાંથી નિર્દોષ છૂટેલા ડો,માયાબેન ફરીથી શરૂ કરશે ગાયનેકોલોજિસ્ટ તરીકેની પ્રેક્ટિસ
પતિ ડૉ. સુરેંદ્ર કોડનાની અને અન્ય પરિવારજનોના સહકારથી જ 10 વર્ષ સુધી કષ્ટ સહન કરી શકી
ગાંધીનગર:નરોડા પાટિયા કેસમાંથી ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ જાહેર કરેલા ભાજપના પૂર્વ મંત્રી ડૉક્ટર માયાબેન કોડનાનીએ કહ્યું કે, યનેકોલોજિસ્ટ તરીકેની પ્રેક્ટિસ તેઓ જલ્દી જ ફરીથી શરૂ કરશે. ચુકાદાને સત્યનો વિજય ગણાવતાં માયાબેને કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં તેમણે વેઠેલી યાતનાઓ અને ખરાબ અનુભવોને તે હવે યાદ કરવા માંગતા નથી
માયાબેને કહ્યું કે, આ સમગ્ર ઘટનાક્રમ પરથી હું એ શીખી છું કે હંમેશા વર્તમાનમાં જીવો. ભૂતકાળની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. હું મારા વર્તમાનમાં ખુશ છું અને ટૂંક જ સમયમાં ડૉક્ટર તરીકેની મારી પ્રેક્ટિસ ફરીથી શરૂ કરીશ. જ્યારે સક્રિય રાજકારણમાં પાછા ફરવા અંગે કોડનાનીએ કહ્યું કે, તે હંમેશા ભાજપના વફાદાર કાર્યકર રહ્યા છે.
માયાબેને કહ્યું કે, “હજુ ચુકાદો આવ્યાને 3-4 દિવસ જ થયા છે. હું અત્યારે મુસીબતમાં મારી પડખે રહેલા લોકોને મળીને તેમનો આભાર વ્યક્ત કરી રહી છું. હું થોડા મંદિરોમાં પણ જઈ આવી છું. મારું રૂટિન કામ ફરી શરૂ કરું તે પહેલા હું થોડો આરામ કરવા માંગું છું, એટલે હાલ તો મેં સક્રિય રાજકારણમાં આવવા અંગે કંઈ વિચાર્યું નથી.” મહત્વનું છે કે નરોડા પાટિયા કેસમાં માયાબેનને ફાસ્ટ્રેક કોર્ટે 28 વર્ષની જેલની સજા ફટકારી હતી.
માયાબેને કહ્યું કે, મારા પતિ ડૉ. સુરેંદ્ર કોડનાની અને અન્ય પરિવારજનોના સહકારથી જ 10 વર્ષ સુધી હું આ કષ્ટ સહન કરી શકી છું. મારા પતિ દરેક મુશ્કેલ ઘડીએ મારી સાથે રહ્યા. મારો પરિવાર આ વર્ષો દરમિયાન મારી પડખે રહ્યો. આ કસોટીના સમયના હું આ લોકોના કારણે જ જીવી શકી. માયાબેનના પતિનું દવાખાનું નરોડા પાટિયાથી 1 કિલોમીટરના અંતરે સેજપુર ટાવરમાં જ આવેલું છે.
માયાબેને કહ્યું કે, “મારા ખરાબ સમય માટે કોઈ જવાબદાર નથી. ભાજપના ઘણાં નેતાઓ અને કાર્યકરોએ મને મળીને અથવા તો ફોન પર શુભેચ્છાઓ આપી છે.” પાર્ટીમાં પોતાના સ્થાન અંગે તેમણે કહ્યું કે, હું ભાજપની કાર્યકર છું. ભાજપનો કાર્યકર કદી સક્રિય કે નિષ્ક્રિય નથી હોતો. મને પક્ષ તરફથી સોંપાયેલા દરેક કામને મેં નિષ્ઠાપૂર્વક પૂરું કર્યું છે. હું ભવિષ્યમાં પણ આમ કરતી રહીશ