1લી મેથી સુઝલામ-સુફલામ જળ સંચય અભિયાન :ચોમાસા પહેલા તળાવોને ઊંડા કરાશે :નદીમાંથી કાપ હટાવી સ્વચ્છ બનાવાશે
ચોમાસા દરમિયાન વધુમાં વધુ પાણીનો સંચય કરીને પાણીની તંગી ના સર્જાય તે માટે સરકાર સક્રિય
અમદાવાદ: આગામી ૧ મેથી સુઝલામ-સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરાશે ચાલુ વર્ષે સર્જાયેલ પાણીની તંગી બાદ આગામી વર્ષે આ પ્રકારની તંગી ન સર્જાય તે માટે રાજ્ય સરકાર સક્રિય બની છે.જળ સંચય અભિયાન અંતર્ગત દરેક ગામોના તળાવને ચોમાસા પહેલા ઊંડા કરવામાં આવશે. તેમજ નદીઓમાંથી કાપ હટાવી સ્વચ્છ કરવામાં આવશે.
આ અભિયાનને આખરી ઓપ આપવા માટે આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક મળી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે ચાલુ વર્ષે ચોમાસા પહેલા દરેક ગામના તળાવને ઊંડા કરવાનુ કામ પૂર્ણ કરી લેવામાં આવશે, જેથી કરીને ચોમાસા દરમિયાન વધુમાં વધુ પાણીનો સંચય કરી શકાય.
રુપાણીએ જણાવ્યુ હતું કે સરકાર આ વખતે પાણી સંચયને લઈ ગંભીર છે. સરકાર ઈચ્છે છે કે વરસાદના પાણીનો વધુમાં વધુ સંચય થાય, જેથી પાણી ભૂગર્ભમાં ઉતરી શકે અને ભૂગર્ભ જળ રીચાર્જ થાય. જેથી કરીને શિયાળા અને ઉનાળા દરમિયાન આ પાણીનો ઉપયોગ કરી શકાય. આ સમગ્ર જળ સંચય અભિયાનને પાર પાડવા માટે એનજીઓ અને ખાનગી સંસ્થાઓની મદદ લેવાનો પણ નિર્ણય કરાયો છે.
આગામી બે દિવસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને આ અભિયાનમાં સહયોગ માંગશે. સરકારનુ કહેવુ છે કે આ અભિયાનમાં જોડાનાર એનજીઓને સરકાર તરફથી મશીનરી અને નાણાંકીય સહાય પણ આપવામાં આવશે. જેથી કરીને ચોમાસા પહેલા આ સમગ્ર અભિયાનને પૂર્ણ કરી શકાય.