સુરતના નાના વરાછામાં અસામાજિક તત્વોનો આતંક:મંદિર બહાર સ્થાનિકને ઢોર માર માર્યો
મંદિર બહાર બેસીને લુખ્ખાઓ મહિલાની પજવણી અને લારી ગલ્લાવાળા પાસેથી હપ્તા ઉઘરાવતા હોવાની રાવ
સુરતઃ શહેરમાં નાના વરાછામાં અસામાજીક તત્વોનો આતંક ફેલાયો છે એક મંદિર બહાર અસામાજીક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી સાથે એક સ્થાનિકને ઢોર માર માર્યો હતો. સ્થાનિકને અપશબ્દો બોલીને તેની સાથે જાહેરમાં મારામારી કરી હતી.આ ઘટનાને લઇને લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. જેને લઇ બાદમાં આ અસામાજીક તત્વો ભાગી ગયા હતાં.
આ અસામાજીક તત્વો મંદિરની બહાર બેસીને ગોરખધંધા કરે છે.રસ્તે ચાલતી મહિલાઓ સાથે છેડતી કરે છે તેમજ નાના લારી ગલ્લાવાળાઓ પાસેથી અસામાજીક તત્વો હપ્તા વસૂલી પણ કરે છે. પોલીસનો માણસ છું એવું કહીને તેઓ હપ્તા વસૂલી પણ કરતા હોય છે. લુખ્ખાઓનાં આતંકને લઇને મંદિર પાસેથી બાંકડા હટાવવાની સ્થાનિકોએ માંગ કરી છે.
સુરતમાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે. જેમ કે ખુલ્લેઆમ મારામારી કરવી, બળાત્કાર કરવો તેમજ હપ્તા ઉઘરાવવા જેવી અનેક અસામાજીક ઘટનાઓ સામે આવતી રહે છે.ત્યારે સુરતમાં જ આવેલ નાના વરાછા વિસ્તારનો જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં કેટલાંક અસામાજીક તત્વો એક મંદિરની બહાર ખુલ્લેઆમ એક શખ્સને ઢોર માર મારી રહ્યાં હતા.