મસાની બીમારીથી કંટાળી સુરતના યુવાન સહીત બે લોકોએ જીવન ટૂંકાવ્યું
સુરત: શહેરમાં મસાની બિમારીથી કંટાળી પુણાના યુવાને અને નાના વરાછામાં સંબંધીને ત્યાં આવેલા યુવાને ભેદી સંજોગોમાં આત્મહત્યા કરી લીધી હતી. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પુણારોડ ડુંભાલ ટ્રાન્સપોર્ટ પાસે સુભાષનગરમાં રહેતો ૧૯ વર્ષીય રતનલાલજી ધરમચંદ કલાલ ગઇકાલે બપોરે ઘરમાં પંખા સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ રતનલાલજી મૂળ રાજસ્થાનના રાજસમદનો વતની હતો. તે છેલ્લા કેટલાંક સમયથી મસાની બિમારીથી પીડાતો હતો. તેથી કંટાળી આ પગલું ભર્યું હતું. તે ઘર પાસે અનાજ દળવાની ઘંટી ચલાવતો હતો. તેની બાજુમાં તેના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે. તેનો ૧ ભાઇ અને ૩ બહેન છે. આ અંગે પૂણા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં નાનાવરાછા ખાતે સાંઇકૃપા સોસાયટીમાં રહેતો ૨૦ વર્ષીય પારસ વીનુભાઇ ઇટાલીયા તા. ૨૦મીની રાત્રે સીમાડાનાકા અમીદીપ હોન્ડા શોરૂમ પાસે ભેદી સંજોગોમાં ઝેરી દવા પી જતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ગત સાંજે તે મોતે ભેટયો હતો. પારસ મૂળ ભાવનગરનો વતની હતો. તે ૩ માસ અગાઉ વતનથી સુરત આવીને સંબંધીના ઘરે રહેતો હતો, તે રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. આ અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.